
જો તમે પણ દર મહિને આવતા ભારેખમ વીજબિલની સમસ્યાથી પરેશાન છો, તો હવે તમને એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું વીજબિલ શૂન્ય થઈ જશે. ઘરમાં ગમે તેટલા પંખા, AC, કૂલર કે હીટર ચલાવશો તો પણ બિલની ચિંતા રહેશે નહીં. સરકાર દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે મોટો આર્થિક ટેકો અને સબસિડી આપી રહી છે.

સરકારનો ઉદ્દેશ્ય છે કે નાગરિકો પોતાની જરૂરિયાતની વીજળી જાતે જ ઉત્પન્ન કરે, તેનો ઉપયોગ કરે અને જો વધારાની વીજળી ઉત્પન્ન થાય તો તે ગ્રીડ મારફતે સરકારને વેચે, જેના બદલામાં તેમને યોગ્ય વળતર પણ મળે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવીને તમે ભારે સબસિડી મેળવી શકો છો અને સોલાર લગાવવાનો પ્રારંભિક ખર્ચ ઘણો ઓછો કરી શકો છો.

કેટલી સબસિડી આપે છે સરકાર? યોજના હેઠળ ક્ષમતા મુજબ નિયત સબસિડી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે: 1 kW સિસ્ટમ માટે: ₹30,000 ની સબસિડી, 2 kW સિસ્ટમ માટે: ₹60,000 ની સબસિડી, 3 kW કે તેથી વધુ ક્ષમતા માટે: મહત્તમ ₹78,000 ની સબસિડી.

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ? અરજદારના નામે રહેણાંક મકાન પર ગ્રીડ-કનેક્ટેડ સક્રિય વીજ જોડાણ હોવું જરૂરી છે. ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પૂરતી ખુલ્લી અને છાંયડા વગરની જગ્યા હોવી જોઈએ. સિસ્ટમ સરકારના નેશનલ પોર્ટલ પર નોંધાયેલા અધિકૃત (Empanelled) વેન્ડર મારફતે જ લગાવવાની રહેશે. સોલાર પેનલ લાગ્યા બાદ સ્થાનિક વીજ વિતરણ કંપની (DISCOM) દ્વારા સ્થળ તપાસ અને ચકાસણી પૂર્ણ થયા પછી જ સબસિડી મંજૂર થાય છે.

યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા: પીએમ સૂર્ય ઘર યોજનાના સત્તાવાર નેશનલ પોર્ટલ પર જાઓ. હોમપેજ પર ‘Apply for Rooftop Solar’ વિકલ્પ પર ક્લિક કરો. તમારું રાજ્ય અને સ્થાનિક વીજ વિતરણ કંપની (જેમ કે UGVCL, DGVCL, PGVCL, MGVCL કે ટોરેન્ટ પાવર) પસંદ કરો. તમારા વીજ બિલ પર દર્શાવેલ કન્ઝ્યુમર નંબર અને કનેક્શન સંબંધિત વિગતો દાખલ કરો. લિસ્ટમાંથી અધિકૃત વેન્ડરની પસંદગી કરી સોલાર પેનલ ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા આગળ વધારો. પ્લાન્ટ લાગી ગયા બાદ ડિસ્કોમ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને નેટ-મીટર લગાવવામાં આવશે. તમામ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ થશે અને સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં DBT મારફતે જમા કરી દેવામાં આવશે.