
ભવિષ્ય નિધિ (PF) એ માત્ર એક બચત ખાતું નથી પરંતુ તે કર્મચારીના પરિવાર માટે એક નાણાકીય સુરક્ષા કવચ છે. ઘણીવાર લોકો તેમના પગારમાંથી કપાતા પીએફ પર તો ધ્યાન આપે છે પરંતુ નોમિનેશન જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાને નજરઅંદાજ કરે છે. EPFO મુજબ, ખાતામાં વારસદારનું નામ ન હોવું એ ભવિષ્યમાં એક મોટા સંકટનું કારણ બની શકે છે.

જો કોઈ PF ખાતાધારક સાથે કોઈ અણધારી ઘટના બને અને તેમના ખાતામાં નોમિનીનું નામ નોંધાયેલું ન હોય, તો તેમના પરિવારને જમા રકમ મેળવવા માટે ખૂબ જ ધક્કા ખાવા પડી શકે છે.

નોમિની વગર પરિવારે કોર્ટમાંથી ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate) મેળવવું પડે છે. સરકારી કચેરીઓ અને કોર્ટના ધક્કા ખાવામાં મહિનાઓ વીતી જાય છે. વકીલોની ફી અને કાગળની કાર્યવાહીમાં મોટી રકમ ખર્ચાઈ જાય છે. જો તમે ઈ-નોમિનેશન (E-Nomination) કરાવેલ હોય, તો તમારા દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિને કોઈપણ મુશ્કેલી વગર તરત જ પૈસા મળી જાય છે.

તમારા પીએફ (PF) ખાતા માટે ઓનલાઇન ઈ-નોમિનેશનની પ્રક્રિયા હવે સાવ સરળ બની ગઈ છે. સૌથી પહેલા EPFO મેમ્બર પોર્ટલ પર જઈ તમારા UAN અને પાસવર્ડ વડે લોગ-ઇન કરો, ત્યારબાદ 'Manage' મેનૂમાં 'E-Nomination' વિકલ્પ પસંદ કરી 'Yes' પર ક્લિક કરીને વારસદારના આધાર નંબર, ફોટો અને બેંક વિગતો જેવી માહિતી ભરો.

હવે 'Nomination Details' માં જઈને દરેક સભ્યને કેટલા ટકા રકમ આપવી છે, તે નક્કી કરો અને અંતે 'E-Sign' બટન દબાવી આધાર સાથે લિંક થયેલા મોબાઈલ પર આવેલ OTP સબમિટ કરતા જ તમારી પ્રક્રિયા સુરક્ષિત રીતે પૂરી થઈ જશે.

ઈ-નોમિનેશન કરતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા લગ્ન થયા હોય અથવા પરિવારમાં કોઈનો જન્મ થયો હોય, તો જૂના નોમિનીને અપડેટ કરવું જરૂરી છે.

તમે ઈચ્છો તો એકથી વધુ વ્યક્તિઓને પણ નોમિની બનાવી શકો છો, જેમ કે 50% રકમ પત્ની અને 50% બાળકોના નામે નક્કી કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઈ-નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારું આધાર કાર્ડ તમારા યુએન (UAN) નંબર સાથે લિંક હોવું અત્યંત જરૂરી છે.