
સરકાર દ્વારા નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) ને વધુ આકર્ષક અને સરળ બનાવવામાં આવ્યા બાદ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે કરદાતાઓ ટેક્સ બચાવવા માટે આંખો બંધ કરીને 'ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ' એટલે કે ELSS ફંડ્સમાં પૈસા રોકતા હતા, તેઓ હવે આ સ્કીમથી અંતર બનાવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના આંકડા દર્શાવે છે કે તાજેતરના સમયમાં ELSS યોજનાઓમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચવામાં આવ્યા છે.

80C ની છૂટ બંધ થતાં આકર્ષણ ઘટ્યું: ELSS ફંડ્સ હિટ થવાનું મુખ્ય કારણ એ હતું કે તેમાં આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળતી હતી અને તેનો લોક-ઈન પીરિયડ માત્ર ત્રણ વર્ષનો હતો, જે અન્ય ટેક્સ સેવિંગ ઓપ્શન્સ કરતાં ઘણો ઓછો છે. પરંતુ નવી ટેક્સ રિજીમમાં 80C હેઠળ મળતી તમામ છૂટછાટો નાબૂદ કરી દેવામાં આવી છે. ટેક્સ બેનિફિટ જ ખતમ થઈ જતાં રોકાણકારો માટે આ ફંડનું આકર્ષણ પણ ઓછું થઈ ગયું છે.

રોકાણકારો હવે ક્યાં લગાવી રહ્યા છે પૈસા?: નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નથી નીકળી રહ્યા, પરંતુ તેઓ હવે ટેક્સ સેવિંગ ફંડ્સના બદલે વધુ ફ્લેક્સિબિલિટી આપતા ઓપ્શન્સ પસંદ કરી રહ્યા છે. લોકો હવે પોતાના પૈસા ફ્લેક્સી-કેપ, મલ્ટી-કેપ, ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફ (ETF) તરફ ડાયવર્ટ કરી રહ્યા છે.

લોક-ઇન પીરિયડની મજબૂરીમાંથી મળી આઝાદી: ELSS માં રોકેલા પૈસા ત્રણ વર્ષ સુધી લોક થઈ જાય છે, એટલે કે જરૂર પડે તો પણ તમે તેને ઉપાડી શકતા નથી. જ્યારે ફ્લેક્સી-કેપ કે ઇન્ડેક્સ ફંડ્સ જેવા સામાન્ય ઇક્વિટી ફંડ્સમાં આવી કોઈ મજબૂરી હોતી નથી. નવી ટેક્સ સિસ્ટમ અપનાવ્યા પછી રોકાણકારો એવા ફંડ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે જ્યાં રોકાણ કરવાની અને જ્યારે ઈચ્છો ત્યારે પૈસા પાછા ખેંચવાની પૂરેપૂરી આઝાદી મળે છે.

શું ELSS નું ભવિષ્ય હવે અંધકારમાં છે?: નિષ્ણાતો માને છે કે આ સ્કીમની ઉપયોગિતા હજુ પૂરી થઈ નથી. જે કરદાતાઓ આજે પણ જૂની ટેક્સ રિજીમ (Old Tax Regime) નો ઉપયોગ કરે છે, તેમના માટે ટેક્સ બચાવવા અને શેરબજારમાંથી સારું વળતર મેળવવા માટે ELSS હજુ પણ એક શ્રેષ્ઠ માધ્યમ છે. જો કે, ભવિષ્યમાં આ ફંડ્સની સફળતા માત્ર ટેક્સના ફાયદા પર નહીં, પરંતુ તે કેવું વળતર (Return) આપે છે તેના પર્ફોર્મન્સ પર નિર્ભર રહેશે.