
વરસાદની ઋતુમાં નાના બાળકોને ઇન્ફેક્શન થવાનું જોખમ ઘણું વધી જાય છે. નાના બાળકોનું ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થયું હોતું નથી, જેથી તેઓ બીમારીઓની લપેટમાં જલ્દી આવી જાય છે. ચોમાસા દરમિયાન વધેલો ભેજ, ફંગસ, વાયરસ અને બેક્ટેરિયાના ઝડપી ફેલાવા સાથે મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે બાળકોમાં શરદી-ધડ, પેટના ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકની કાળજી લેવામાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અહીં કેટલીક સોફ્ટ અને આસાન ટિપ્સ આપી છે, જે બાળકના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરશે.

સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો: બાળકને તેડીને રમાડતા પહેલા કે દૂધ પીવડાવતા પહેલા હંમેશા હાથ સાબુથી બરાબર ધોવા. તેના રમકડાં, પેસિફાયર અને દૂધ પીવડાવવા સંબંધિત સાધનોને નિયમિતપણે સાફ અને સેનિટાઇઝ કરવા. જો બાળકે ખોરાક લેવાનું શરૂ કરી દીધું હોય, તો તેને હંમેશા તાજો બનાવેલો ખોરાક આપવો. રાંધેલો ખોરાક લાંબા સમય સુધી રાખી મૂકીને ન ખવડાવવો, કારણ કે વરસાદની ઋતુમાં ભેજ અને ગરમીના કારણે તેમાં બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થાય છે. જો શક્ય હોય તો બાળકને માતાનું દૂધ આપવાનું ચાલુ રાખવું, કારણ કે તેમાં રહેલા એન્ટિબોડીઝ બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

ઘરને સ્વચ્છ અને સૂકું રાખો: ઘરને સાફ, સૂકું અને હવાઉજસવાળું રાખવું ખૂબ જ જરૂરી છે. ભેજ અને ફૂગના કારણે બાળકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી ઓરડામાં હવાની અવરજવર જળવાઈ રહે તેવું આયોજન કરવું અને ભેજ જમા ન થવા દેવો.

મચ્છરદાનીનો ઉપયોગ કરો: બાળકોને મચ્છરોથી બચાવવા માટે રાત્રે અને દિવસે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ઘરની આસપાસ કે ક્યાંય પણ પાણી જમા ન થવા દેવું, જેથી મચ્છરોનો ઉપદ્રવ ન વધે.

કપડાં કેવા પહેરાવવા?: બાળકને સુતરાઉ અને નરમ કપડાં પહેરાવવા જેથી તેને વધારે ગરમી ન લાગે. જો તેના કપડાં પરસેવાથી કે વરસાદથી સહેજ પણ ભીના કે ભેજવાળા થાય, તો તેને તરત જ બદલી નાખવા.

બાળકોને કેવી રીતે નવડાવવા?: બાળકને રોજ નવશેકા ગરમ પાણીથી નવડાવવું. નવડાવ્યા પછી બાળકની માન, બગલ અને જાંઘ વચ્ચેની ત્વચાને સૂકા કપડાથી બરાબર કોરી કરવી, જેથી ફંગલ ઇન્ફેક્શન અને ડાયપર રેશિસની સમસ્યાથી બચી શકાય.

આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો: જો બાળકને સતત તાવ આવતો હોય, તે સરખી રીતે દૂધ કે ખોરાક ન લેતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જરૂર કરતાં વધુ સુસ્ત દેખાતું હોય અથવા શરીરમાં પાણીની કમીના લક્ષણો જણાય, તો બિલકુલ વાર કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરવો. સમયસર સારવારથી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.