
આંકડા દર્શાવે છે કે, ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 20 થી 25 ટકા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. હવે ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારા નામે કન્ફર્મ ટિકિટ જલ્દી હશે.

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે, હવે કોઈપણ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25% સુધી મર્યાદિત રહેશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી મુસાફરી આપવાનો અને ઓવરબુકિંગની સમસ્યા ઘટાડવાનો છે.

એક અહેવાલો અનુસાર, હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ બર્થ/સીટના અંદાજે 25 ટકા જ વેઇટિંગ ટિકિટ તરીકે જાહેર કરશે. આ ફેરફાર દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે અનામત સીટ જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો જેવી બધી ટ્રેનોને લાગુ પડશે.

ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો કોઈ ટ્રેનમાં 1,000 સીટો હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જાહેર કરવામાં આવશે. આનાથી મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તો વધશે જ, પરંતુ ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ ઓછી થશે.

એક વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, વેઇટિંગ ટિકિટોની સંખ્યા વધુ હોવાને કારણે, કન્ફર્મ ટિકિટ વિનાના મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચઢતા હતા, જેના કારણે કોચમાં ભીડ થતી હતી. નવી નીતિ આ ભીડને કાબુમાં લેવામાં મદદ કરશે.