
હાલમાં કૃષિ મંત્રી તરીકે કાર્યરત છે. ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે અને 2016 થી 2020 સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.

11 સપ્ટેમ્બર 1970ના રોજ જીતુ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાનાં વરતેજ ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ લાઠીમાં થયું. તેમણે લૉમાં અભ્યાસ કર્યો છે અને આરએસએસના બાળપણથી સ્વયંસેવક છે.

જીતુ વાઘાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામે ભાવનગર શહેરની દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતાની સાથે જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેઓ સાત હજારથી વધુ મતોના અંતરે હારી ગયા હતા.

2012માં જીતુ વાઘાણી ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, અને આ વખતે તેઓ સફળ રહ્યા હતા. નોંધનીય રીતે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ તફાવતથી તેમણે આ બેઠક જીતી હતી.

2017ની ગુજરાત ચૂંટણી તેઓ ભાવનગર પશ્ચિમ પરથી કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ સામે લડ્યા હતા. આ સમયે તેઓએ ફરીથી 27000 મતોના અંતરથી ભાવનગર પશ્ચિમ બેઠકને જીતી હતી.

વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી પદે નિમણૂક થયા બાદ 2016ના ઑગસ્ટ મહિનામાં જીતુ વાઘાણીને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.

જીતુ વાઘાણીને 2019ની લોક્સભા ચૂંટણી દરમિયાન અપ શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી.જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, કે જે 1993ના મુંબઈ ધડાકા માટે કસૂરવાર ઠર્યો હતો.

માર્ચ 2019માં વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગરની કૉલેજમાં ચોરી કરતાં પકડાયો હતો અને તે બદલ વાઘાણીએ માફી પણ માંગી હતી અને કહ્યું હતું, "મારા પુત્રથી ભૂલ થઈ ગઈ છે"

જાન્યુઆરી ૨૦૧૯માં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જો કે તેઓ એ તે માટે પાછળથી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમની ટિપ્પણીને તોડી મરોડીને રજૂ કરાઈ છે,2020માં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થતાં તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતુ.