
ચિનાર કોર્પ્સ, જેને ઔપચારિક રીતે 15મી કોર્પ્સ (15 Corps) કહેવામાં આવે છે, તે ભારતીય સેનાનું એક મુખ્ય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એકમ છે. તેનું મુખ્ય મથક શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં છે અને તેની પ્રાથમિક જવાબદારી કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા, નિયંત્રણ રેખા (LoC) પર દેખરેખ રાખવા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

ચિનાર કોર્પ્સનું સૂત્ર "વીરતા અને બલિદાન" છે, જે તેના સૈનિકોની વફાદારી અને સેવા ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ કોર્પ્સ અત્યંત સંવેદનશીલ વિસ્તારો માટે જવાબદાર છે, જ્યાં દુશ્મન દેશ દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓના વારંવાર પ્રયાસો થાય છે.

ચિનાર કોર્પ્સ તાજેતરના વર્ષોમાં ઘણા સફળ કામગીરી માટે સમાચારમાં રહી છે, જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ, ઘૂસણખોરી અટકાવવા અને સ્થાનિક લોકો સાથે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ સૈન્ય રચના માત્ર લડાઇ કામગીરી જ કરતી નથી, પરંતુ નાગરિક-લશ્કરી સહયોગ, તબીબી શિબિરો અને શિક્ષણ પ્રયાસો દ્વારા જાહેર સમર્થન પણ મેળવે છે.

તાજેતરમાં, ચિનાર કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ "ઓપરેશન મહાદેવ" એક મુખ્ય અને સફળ આતંકવાદ વિરોધી કામગીરી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ આતંકવાદીઓ લાંબા સમયથી સક્રિય અને વોન્ટેડ હતા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે ઓપરેશન ચલાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, સોમવારે શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. જંગલ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR), 24 RR, શ્રીનગર પોલીસ અને CRPF ની ટીમો આ કાર્યવાહીમાં સામેલ છે. (All Image - Chinar Corps)
Published On - 2:20 pm, Mon, 28 July 25