
ઘરમાં ઉંદરોનું આવવું માત્ર મુશ્કેલી જ નથી ઊભી કરતું, પણ તે અનાજ અને ખાવાની ચીજો બગાડવાની સાથે ભારે ગંદકી ફેલાવે છે. ઘણા લોકો તેમને ભગાડવા માટે ઝેરનો ઉપયોગ કરે છે, પરંતુ આનાથી બાળકો, પાલતુ જાનવરો અને ઘરના અન્ય સભ્યો માટે પણ મોટો ખતરો પેદા થઈ શકે છે. સારી વાત એ છે કે કેટલાક સરળ ઘરેલું ઉપાયો અપનાવીને પણ ઉંદરોથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે.

આ જગ્યાઓને બંધ કરવી જોઈએ: સૌથી પહેલા ઘરમાં એવા સ્થાનોની તપાસ કરો, જ્યાંથી ઉંદરો અંદર આવી શકે છે. દરવાજાની નીચે રહેલી ખાલી જગ્યા, દીવાલોની તિરાડો, પાઇપલાઇનની આસપાસ રહેલી જગ્યા અને તૂટેલી જાળીઓ ઉંદરો માટે સરળ રસ્તો બની જાય છે. આ તમામ જગ્યાઓને મજબૂત લોખંડની જાળી, ધાતુની શીટ અથવા અન્ય ટકાઉ સામગ્રીથી સારી રીતે બંધ કરી દો. એકવાર અંદર આવવાનો રસ્તો બંધ થઈ જશે, તો ઉંદરોનો ત્રાસ ઘણો ખરો ઓછો થઈ જશે.

સાફ-સફાઈનું પણ ખાસ ધ્યાન રાખો: ઘરની સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. રસોડામાં બચેલું ભોજન ક્યારેય ખુલ્લું ન છોડો અને અનાજ, દાળ, લોટ જેવી વસ્તુઓને હંમેશા એરટાઈટ ડબ્બાઓમાં ભરીને રાખો. રાત્રે સિંકમાં ગંદા વાસણો છોડવાને બદલે તેને સાફ કરી દેવા જોઈએ. જો ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય તો તેમનું વધેલું ખાવાનું પણ આખી રાત ખુલ્લું ન રાખવું. જ્યારે ઉંદરોને ખાવાની કોઈ સામગ્રી નહીં મળે, ત્યારે તેઓ વધુ સમય સુધી ઘરમાં ટકી શકશે નહીં.

જો ઘરની બહાર ભંગાર, લાકડાનો ઢગલો કે કચરો જમા થયેલો હોય તો તેને પણ સમયસમય પર હટાવતા રહો. આવી જગ્યાઓ ઉંદરોને છિપાવવા અને રહેવા માટે સૌથી મનપસંદ સ્થાન બની જાય છે. ડસ્ટબિનનું ઢાંકણું હંમેશા બરાબર બંધ રાખો જેથી તેમાં રાખેલી વસ્તુઓની ગંધ ઉંદરોને આકર્ષિત ન કરે.

પાંજરાનો ઉપયોગ: ઝેર આપ્યા વિના ઉંદરોને પકડવા માટે ટ્રેપ એટલે કે પાંજરાનો ઉપયોગ પણ કરી શકાય છે. પાંજરાને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં ઉંદરોની અવરજવર વધુ હોય, જેમ કે દીવાલની કિનારીઓ પર અથવા રસોડાની નજીક. પાંજરાની અંદર પીનટ બટર, સૂકો મેવો અથવા અન્ય કોઈ સુગંધિત ખાવાની વસ્તુ મૂકી શકાય છે. એક કરતાં વધુ પાંજરા ગોઠવવાથી ઉંદરો પકડાવાની શક્યતા વધી જાય છે.

આ બાબતનું પણ ધ્યાન રાખો: જો ઘરમાં વારંવાર ઉંદરો જોવા મળી રહ્યા હોય તો એ પણ ચેક કરો કે ક્યાંય પાણીનું લીકેજ તો નથી થઈ રહ્યું ને? ભેજવાળી જગ્યાઓ અને પાણીનો સ્ત્રોત પણ ઉંદરોને ખૂબ આકર્ષે છે. તેથી લીક થઈ રહેલા પાઈપ કે નળને વહેલી તકે ઠીક કરાવો અને ઘરમાં બિનજરૂરી ભેજ ન રહેવા દો.