
આવી સ્થિતિમાં મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે, શું બેંક તમને 'ડિફોલ્ટર' જાહેર કરી દેશે અથવા મારો ક્રેડિટ સ્કોર (CIBIL) ખરાબ થઈ જશે? હવે વાસ્તવિકતા એ છે કે, એક EMI મિસ થવી એ કોઈ મોટું સંકટ નથી પરંતુ તેને અવગણવું ભવિષ્યમાં ભારે પડી શકે છે.

ટૂંકમાં, જેવી EMIની તારીખ વીતી જાય છે, બેંકના સિસ્ટમમાં તમારું લોન એકાઉન્ટ 'ઓવરડ્યુ' (Overdue) તરીકે માર્ક થઈ જાય છે. શરૂઆતમાં તમને ઓટોમેટેડ મેસેજ અને ઈમેલ આવશે. થોડા દિવસો પછી બેંકની કલેક્શન ટીમનો ફોન પણ આવી શકે છે.

આ માટે બેંક તમારી પાસેથી લેટ પેમેન્ટ ફી અથવા દંડાત્મક વ્યાજ વસૂલે છે. આ રકમ શરૂઆતમાં બહુ મોટી હોતી નથી પરંતુ વિલંબ થવા પર તે વધતી જાય છે. આ સમય દરમિયાન બેંકના ફોન કોલ્સને ક્યારેય નજરઅંદાજ કરશો નહીં. તેમને સ્પષ્ટપણે જણાવો કે, વિલંબ કેમ થયો અને તમે ક્યારે પેમેન્ટ કરશો. બેંક ફક્ત એ જાણવા માંગે છે કે, આ એક ભૂલ છે કે ખરેખર તમારી પાસે પૈસાની ભારે તંગી છે.

મોટાભાગના લોકો એવું વિચારે છે કે, એક દિવસના વિલંબથી પણ CIBIL સ્કોર ઘટી જશે પરંતુ એવું નથી. બેંકો સામાન્ય રીતે ત્યાં સુધી ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ કરતી નથી, જ્યાં સુધી વિલંબ 30 દિવસથી વધુ ન થાય. જો તમે મહિનો પૂરો થતા પહેલા ચુકવણી કરી દો છો, તો અવારનવાર ક્રેડિટ સ્કોર પર કોઈ અસર પડતી નથી.

એક વખતની ભૂલને બેંક અને ક્રેડિટ બ્યુરો એક સામાન્ય 'ચૂક' તરીકે જુએ છે પરંતુ જો આ વારંવાર થવા લાગે, તો તમારો સ્કોર ઝડપથી નીચે પડી શકે છે. એક EMI મિસ થવા પર રિકવરી એજન્ટ કે કાયદેસરની નોટિસ જેવી સ્થિતિ આવતી નથી.

રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, હોમ લોન ત્યાં સુધી NPA (Non-Performing Asset) જાહેર કરવામાં આવતી નથી, જ્યાં સુધી સતત 90 દિવસ સુધી ચુકવણી અટકેલી ન હોય. કાયદેસરની કાર્યવાહી કે ઘરનો કબજો લેવાની નોબત ત્યારે જ આવે છે, જ્યારે તમે સતત ઘણા મહિનાઓ સુધી ડિફોલ્ટ કરો અને ઘણી બધી ઔપચારિક નોટિસો મોકલવામાં આવી હોય. એક EMI મિસ થવાથી તમારી લોનની શરતો કે વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર થતો નથી.

જો તમારાથી EMI મિસ (Miss) થઈ ગઈ હોય, તો બેંકને ફોન કરીને તેની જાણ કરો. તમારી પ્રામાણિકતા બેંક સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. બીજું કે, ભૂલ ટેકનિકલ હતી (જેમ કે ઓટો-ડેબિટ ફેલ થવું) કે આર્થિક, તે તપાસો. આ ભૂલને ભવિષ્ય માટે સુધારો અને વહેલી તકે પૈસાની વ્યવસ્થા કરી પેનલ્ટી સાથે ચુકવણી કરી દો.

હોમ લોનની એક EMI મિસ થવી એ કોઈ મોટી વાત નથી પરંતુ એક ચેતવણી છે. જો તમે તેને તરત જ સુધારી લો છો, તો નુકસાન ખૂબ ઓછું થાય છે. બેંક પણ તમારી મજબૂરી સમજે છે, બસ જરૂરી છે કે તમે તેમની સાથે સતત સંપર્ક જાળવી રાખો.