
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં હૃદયની બીમારીઓ ઝડપથી વધી રહી છે. યુવાનો પણ હૃદયની બીમારીનો સામનો કરી રહ્યા છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ આટલું કેમ વધી રહ્યું છે? જણાવી દઈએ કે, આનું અસલી કારણ સવારની કેટલીક અનહેલ્ધી (અસ્વસ્થ) આદતો છે. આપણી કેટલીક એવી આદતો કે, જેને આપણે ખૂબ જ સામાન્ય માનીએ છીએ, તે ધીમે-ધીમે આપણા હૃદયને નબળું પાડી રહી છે. ખાસ કરીને સવારની શરૂઆતમાં કરવામાં આવતી ભૂલો હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમને વધારી રહી છે.

સવારમાં ગાઢ નિદ્રામાંથી અચાનક અને ઝટકા સાથે જાગવાથી શરીરમાં 'કોર્ટિસોલ' તેમજ 'એડ્રેનાલિન' જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઝડપથી વધે છે. આનાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ અચાનક વધી જાય છે, જે હૃદય પર ભારે દબાણ લાવે છે. આવા સમયે એલાર્મ વાગ્યા પછી પથારીમાં જ 2 મિનિટ રોકાઓ, ઊંડા શ્વાસ લો, શરીરને સ્ટ્રેચ કરો અને પછી ધીમેથી ઊભા થાઓ.

ખાલી પેટે 'બેડ-ટી' કે 'કોફી' પીવાથી શરીરમાં એસિડિટી વધે છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે. કેફીનની અતિશય માત્રા ખાલી પેટે લેવાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે. સવારે ઉઠીને સૌથી પહેલા 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવો, જેથી આખી રાતથી ડીહાઈડ્રેટ થયેલા અંગોને ઓક્સિજન મળી શકે.

સવારે ઉઠતાની સાથે જ વોર્મ-અપ કર્યા વિના સીધા હેવી વેઇટ લિફ્ટિંગ અથવા હાઈ-ઇન્ટેન્સિટી કાર્ડિયો શરૂ કરી દેવું હૃદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સવારના સમયે લોહી થોડું ઘટ્ટ હોય છે, જેનાથી બ્લોકેજનું જોખમ રહે છે. આવા સમયે એક્સરસાઇઝ શરૂ કરતા પહેલા ઓછામાં ઓછી 5 થી 10 મિનિટનું હળવું વોર્મ-અપ અથવા સ્ટ્રેચિંગ ખૂબ જ જરૂરી છે.

સવારનો નાસ્તો ન કરવાથી શરીરનું મેટાબોલિઝમ બગડી જાય છે અને બ્લડ શુગર લેવલમાં ઉતાર-ચઢાવ આવે છે. વળી, નાસ્તામાં વધુ પડતો ઓઇલી, પ્રોસેસ્ડ ફૂડ કે એક્સ્ટ્રા શુગર લેવાથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે, જે ધમનીઓને બ્લોક કરે છે.