
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મંજૂરી આપી દીધી છે. હવે દેશમાં ટૂંક સમયમાં જ કાગળને બદલે પોલિમર એટલે કે પ્લાસ્ટિકના નોટ ચલણમાં જોવા મળશે. આ અંગેની સત્તાવાર માહિતી સરકારે સંસદમાં શેર કરી છે.

આ યોજના અંતર્ગત સૌથી પહેલા ₹10 અને ₹20ના મૂલ્યના પ્લાસ્ટિક નોટ બહાર પાડવામાં આવશે. શરૂઆતમાં તેને એક ટ્રાયલ (પાયલટ પ્રોજેક્ટ) તરીકે બજારમાં ઉતારવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો પછી તેને નિયમિત રીતે દેશભરમાં ચલાવવામાં આવશે.

સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે ફિલ્ડ ટ્રાયલ માટે ₹10 અને ₹20ના 100-100 કરોડ (એક-એક અબજ) પોલિમર નોટો છાપવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં નોટો લાવીને સરકાર બજારમાં તેની ટકાઉપણા અને લોકોના વપરાશનો અભ્યાસ કરશે.

પ્લાસ્ટિક નોટના સમાચાર આવતા જ લોકોમાં ભય હતો કે શું જૂની નોટો બંધ થઈ જશે? પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે વર્તમાનમાં ચાલતી કાગળની નોટો પર આની કોઈ નકારાત્મક અસર નહીં પડે. કાગળની નોટો બંધ નહીં થાય, પરંતુ તે આ નવી પ્લાસ્ટિક નોટો સાથે બજારમાં માન્ય રહેશે.

પોલિમર (પ્લાસ્ટિક) નોટોની આયુષ્ય કાગળની નોટો કરતા ઘણી વધારે હોય છે. તે પાણીમાં ભીંજાતી નથી, જલ્દી ફાટતી નથી અને તેને મેલી કરવી મુશ્કેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નોટોની નકલ (નકલી નોટ) બનાવવી અશક્ય સમાન છે, જેનાથી લાંબા ગાળે પ્રિન્ટિંગનો ખર્ચ ઘટી જાય છે.

ભારતમાં આ પ્રયોગ પહેલીવાર થઈ રહ્યો છે, પરંતુ વિશ્વમાં સૌથી પહેલા 1988માં ઓસ્ટ્રેલિયાએ પ્લાસ્ટિક નોટની શરૂઆત કરી હતી. આજે વિશ્વના 50થી વધુ દેશોમાં કાગળને બદલે પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે.

આ પાયલોટ પ્રોજેક્ટને વહેલી તકે શરૂ કરવા માટે RBI દ્વારા વૈશ્વિક સ્તરે (Global Tenders) અરજીઓ મંગાવવામાં આવી છે. આ નોટો આવ્યા પછી ડિજિટલ પેમેન્ટ અને રોકડ વ્યવહાર પર શું અસર પડે છે તેનો મૂલ્યાંકન કરવામાં આવશે.