
અયોધ્યા રામ મંદિરમાં લાખો ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા કરોડો રૂપિયાના દાનને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ભક્તોની આસ્થાના પ્રતીક સમાન ચઢાવાની રકમ ગાયબ થવાના ગંભીર આરોપો લાગ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને તપાસના આદેશ આપ્યા છે.

સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે રામ મંદિરના કરોડો રૂપિયાના ચઢાવાનો હિસાબ-કિતાબ બરાબર ન હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. વિપક્ષના આકરા પ્રહારો અને કરોડો રૂપિયાની કથિત અનિયમિતતાના કારણે યોગી સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસ પ્રભારી પ્રકાશ ગુપ્તાએ સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે દાન કાઉન્ટર પર કોઈ પણ શ્રદ્ધાળુ પાસેથી પાવતી વગર એક રૂપિયો પણ લેવાતો નથી. તેથી કાઉન્ટર પર કોઈ ગરબડ થઈ નથી, પરંતુ અસલી ખેલ દાન પાત્ર માંથી પૈસા કાઢીને ગણતી વખતે થયો હોવાની આશંકા છે.

આ વિવાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે નોટોની ગણતરીનું કામ બેંકના કાયમી કર્મચારીઓ પાસે નહીં, પરંતુ બેંક દ્વારા બોલાવવામાં આવેલા અસ્થાયી (ટેમ્પરરી) કર્મચારીઓ પાસે કરાવવામાં આવતું હતું. દાન પાત્રમાંથી નોટોની ગણતરીનું આ સ્થળ જ હવે શંકાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પદાધિકારી અને નિવૃત્ત બેંક કર્મચારી મહીપાલ સિંહે નોટોની ગણતરીની આ જવાબદારી સંભાળી હતી. તેમણે જ આ ગણતરીમાં અનિયમિતતા થઈ હોવાની પ્રથમ ફરિયાદ કરી હતી, પરંતુ કથિત રીતે તે સમયે તેમની વાત પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

આ આખા હાઈ-પ્રોફાઈલ વિવાદમાં લવકુશ તિવારી નામના વ્યક્તિ પર નોટોની ગણતરી દરમિયાન ગરબડ કરવાનો સીધો આરોપ લાગ્યો છે. લવકુશની દાદીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, કેટલાક અજાણ્યા લોકો સાદા કપડામાં તેમના ઘરે આવ્યા હતા, ઘરમાં તોડફોડ કરી હતી અને લવકુશને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા, ત્યારથી તે ગુમ છે.

આ મામલો માત્ર આર્થિક હિસાબ-કિતાબ પૂરતો સીમિત નથી, પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન રામ મંદિરની વિશ્વસનીયતા સાથે જોડાયેલો છે. ટ્રસ્ટ અને સામાન્ય જનતા હવે આતુરતાથી SIT તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે જેથી ખબર પડે કે પૈસા ખરેખર ચોરાયા છે કે માત્ર ગણતરીની કોઈ ભૂલ છે.
Published On - 4:50 pm, Sun, 14 June 26