
EPF (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ) નોકરિયાત વર્ગ માટે નિવૃત્તિ (Retirement) સમયે એક મોટું ફંડ તૈયાર કરવામાં મદદ કરે છે. દર મહિને કર્મચારીના પગારમાંથી એક ભાગ EPF ખાતામાં જમા થાય છે અને તેના પર નક્કી કરેલા દર મુજબ વ્યાજ પણ મળે છે. હવે જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ પહેલાં જ નોકરી છોડી દે છે અને ત્યારબાદ EPF ખાતામાં કોઈ નવું યોગદાન નથી થતું, તો શું વ્યાજ મળવાનું તરત જ બંધ થઈ જાય છે? EPFO દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એવું હોવું જરૂરી નથી.

જો કોઈ કર્મચારી 55 ની ઉંમર પહેલાં નોકરી છોડી દે છે અને પોતાના EPF ખાતામાં જમા થયેલી રકમ નથી ઉપાડતો, તો હાલના EPFO ગાઈડન્સ મુજબ ખાતા પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળી શકે છે. બસ EPF નિયમો હેઠળની જરૂરી શરતો પૂરી થતી હોય. આવી જ રીતે, જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરે નોકરી છોડી દે છે અને પોતાના EPF ના પૈસા ખાતામાં જ રહેવા દે છે, તો તેના પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળી શકે છે.

EPFO ના જણાવ્યા અનુસાર, EPF ખાતાને ઈનઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય ખાતું ત્યારે માનવામાં આવે છે, જ્યારે નિવૃત્તિ, કાયમી ધોરણે વિદેશ જવું અથવા કર્મચારીના મૃત્યુ જેવી સ્થિતિમાં ત્રણ વર્ષ સુધી EPF માં કોઈ યોગદાન પ્રાપ્ત ન થાય. હાલના ગાઈડન્સ મુજબ, ઓપરેટિવ EPF ખાતા પર સભ્યની 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળે છે.

બીજી તરફ, જો કોઈ કર્મચારી 55 વર્ષ કે તેથી વધુ ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેના ખાતાના ઈનઓપરેટિવ થવાના નિયમો અલગ હોઈ શકે છે. EPFO ના જણાવ્યા મુજબ, 55 વર્ષ કે તેથી વધુ ઉંમરે નિવૃત્તિની સ્થિતિમાં નિવૃત્તિની તારીખથી 36 મહિના પછી EPF ખાતું ઈનઓપરેટિવ થઈ જાય છે અને ત્યારબાદ તેના પર આગળ વ્યાજ નથી મળતું.

જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે સ્વેચ્છાએ નિવૃત્ત થાય છે, તો હાલના નિયમો અનુસાર તેને 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળી શકે છે. જો કોઈ કર્મચારી 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે તો EPFO ના જણાવ્યા અનુસાર, વ્યાજ 63 વર્ષની ઉંમર સુધી મળી શકે છે. ટૂંકમાં, વ્યાજ બંધ થવાનો સમય કર્મચારીની નિવૃત્તિ અથવા નોકરી છોડવાની ઉંમર પર આધાર રાખે છે.