
જો તમે કોઈપણ માર્કેટ રિસ્ક લીધા વગર નિવૃત્તિ સમયે ₹1 કરોડ કે તેથી વધુ રકમ જમા કરવા માંગો છો, તો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) તમારા માટે શ્રેષ્ઠ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. પીએફ લાંબા ગાળાનું રોકાણ હોવાથી તેમાં વ્યાજ પર વ્યાજ (કમ્પાઉન્ડિંગ) મળવાને કારણે નાણાં ઝડપથી વધે છે.

નિયમિત અને લાંબા ગાળાના રોકાણથી ઈપીએફ ઉત્તમ વળતર આપે છે. જો કોઈ કર્મચારીના પીએફ ખાતામાં દર મહિને આશરે ₹10,750 જમા થાય, તો 20 થી 25 વર્ષના સમયગાળામાં અંદાજે ₹1 કરોડનું મોટું ફંડ તૈયાર થઈ શકે છે.

કેવી રીતે બનશે ₹1.58 કરોડનું મોટું ફંડ? જો સરકાર પીએફ બેલેન્સ પર સરેરાશ 8.25 ટકા વાર્ષિક વ્યાજ દર જાળવી રાખે, તો આ ગણતરી શક્ય બને છે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારી સામાન્ય પીએફ ઉપરાંત દર મહિને વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF) મારફતે વધારાના ₹6,000 નું રોકાણ કરે, તો 24 થી 25 વર્ષમાં આશરે ₹1.58 કરોડ જેટલું તોતિંગ રિટાયરમેન્ટ ફંડ તૈયાર થઈ શકે છે.

કઈ ભૂલથી બચવું જરૂરી છે? કરિયરમાં બ્રેક: કરિયરમાં લાંબો બ્રેક લેવાથી દર મહિને થતું પીએફ યોગદાન અટકી જાય છે, જેનાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગની પ્રક્રિયાને મોટો ફટકો પડે છે.

વારંવાર નાણાં ઉપાડવા: નોકરી બદલતી વખતે પીએફના નાણાં ઉપાડી લેવાને બદલે તેને ટ્રાન્સફર કરવા જોઈએ. નાણાં ઉપાડવાથી કરોડપતિ બનવાનું લક્ષ્ય અધૂરું રહી જાય છે.

EPFO ના નિયમો: નિયમ મુજબ દર મહિને કર્મચારીના બેસિક પગાર અને ડીએના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે અને તેટલી જ રકમ કંપની દ્વારા પણ આપવામાં આવે છે. જોકે કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા હિસ્સો એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) માં જાય છે અને બાકીનો 3.67 ટકા હિસ્સો EPF ખાતામાં જમા થાય છે.

વિડ્રોઅલ (ઉપાડ) ના નિયમો: ઈપીએફઓ સભ્યોને જરૂરિયાતના સમયે પીએફમાંથી આંશિક નાણાં ઉપાડવાની છૂટ આપે છે. કોઈપણ કર્મચારીને તબીબી કટોકટી, ઘર ખરીદવા કે બાળકોના શિક્ષણ/લગ્ન જેવા ચોક્કસ કારણોસર ઇમરજન્સી કે એડવાન્સ તરીકે નાણાં ઉપાડવાની સુવિધા મળે છે.