
જો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે તો તે BCCI માટે મોટો ફટકો હશે. થોડા દિવસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, ટીમમાં ફક્ત વિરાટ કોહલી જ બચ્યો છે જે યુવા ખેલાડીઓને સંભાળી શકે છે.

રવિચંદ્રન અશ્વિન પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટથી દૂર થઈ ગયો છે. ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે ટીમની બહાર છે અને ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજા બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો વિરાટ કોહલી નિવૃત્તિ લે છે તો ડ્રેસિંગ રૂમમાં યુવા ખેલાડીઓ દબાણમાં આવશે.

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી, તેનું ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સાથે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે ના હોય તો ટીમ ઈન્ડિયા પર દબાણ વધશે.

વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અહીં 17 મેચમાં 1096 રન બનાવ્યા છે. તે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર બાદ ચોથા સ્થાને છે. કોહલીએ 2018માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર સૌથી વધુ રન (593) બનાવ્યા હતા.

તમામ ફોર્મેટમાં મળીને ઈંગ્લેન્ડમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવા મામલે કોહલી દ્રવિડ પછી બીજા ક્રમે છે, કોહલીએ તમામ ફોર્મેટમાં ઈંગ્લેન્ડમાં 2,637 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, જો તે નિવૃત્તિની જાહેરાત કરે છે તો ઈંગ્લેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓ પર ઘણું દબાણ આવશે.

BCCI ઈચ્છે છે કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ સાથે રહે અને પોતાના અનુભવથી યુવા ખેલાડીઓની સાથે મળી ટીમને વિજેતા બનાવે. (All Photo Credit : PTI)