ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા પહેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઈનકાર કરી દીધો છે. સામાન્ય રીતે તમામ ટીમોની જર્સી પર ટૂર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ હોય છે. જે બાદ નવો વિવાદ ઉભો થયો હતો.
જો કે હવે આ મુદ્દે BCCI તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. BCCIના નવા સચિવ દેવજીત સૈકિયાએ પણ હવે પુષ્ટિ કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન BCCI જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરશે. એટલે કે આ ટૂર્નામેન્ટના યજમાન પાકિસ્તાનનું નામ ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે.
ICCના નિયમો અનુસાર, ICC બેનર હેઠળ યોજાતી તમામ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમોએ ટૂર્નામેન્ટના નામની સાથે યજમાન દેશનું નામ અને ટૂર્નામેન્ટનું વર્ષ છાતીની જમણી બાજુ લખવું ફરજિયાત છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને BCCI પર આરોપ લગાવ્યો હતો કે તેણે ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ છાપવાનો ઈન્કાર કર્યો હતો. PCB પણ આ મુદ્દાને ICCમાં લઈ જવા માંગતું હતું. પરંતુ BCCIએ હવે આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે અને જર્સીને લગતા ICCના દરેક નિયમોનું પાલન કરવાની જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયાની તેની છેલ્લી મેચમાં 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી સેમીફાઈનલ અને પછી ફાઈનલ રમાશે. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અને ફાઈનલ માટે ક્વોલિફાઈ કરે છે તો આ મેચો પણ દુબઈમાં જ રમાશે. (All Photo Credit : PTI)
Published On - 5:49 pm, Wed, 22 January 25