
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. આ શ્રેણીમાં બધાની નજર બંને ટીમોના બોલરો પર પણ રહેશે. જોકે, બંને દેશો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો છે.જોકે સૌથી વધુ વિકેટ શ્રીલંકાના દિગ્ગજે લીધી છે.

ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને ભારત સામે 22 ટેસ્ટમાં 105 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે સાત વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારતનો મહાન લેગ સ્પિનર અનિલ કુંબલે બીજા ક્રમે છે. અનિલ કુંબલેએ શ્રીલંકા સામે 18 ટેસ્ટમાં 74 વિકેટ ઝડપી છે. કુંબલેએ ચાર વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિને શ્રીલંકા સામે 11 ટેસ્ટમાં 62 વિકેટ ઝડપી છે અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેનો શ્રેષ્ઠ સ્પેલ 46 રનમાં 6 વિકેટનો રહ્યો છે.

આ યાદીમાં ચોથા ક્રમે છે હરભજન સિંહ. ભજ્જીએ શ્રીલંકા સામે 16 ટેસ્ટમાં 53 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 62 રનમાં 7 વિકેટનું છે.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે શ્રીલંકા સામે 14 ટેસ્ટમાં 45 વિકેટ ઝડપી હતી અને તેઓ સૌથી વધુ વિકેટ મામલે પાંચમા ક્રમે છે. તેમની બોલિંગ સરેરાશ 26.55 રહી હતી, જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન 110 રનમાં 5 વિકેટનું હતું. (PC:PTI/X)