
કુલદીપ યાદવ માટે છેલ્લા બે-ત્રણ મહિના ખાસ સારા રહ્યા નથી. IPL 2026માં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા કુલદીપ બાદમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ પોતાની છાપ છોડી શક્યા નહોતા. હવે ટીમ ઈન્ડિયામાં તેમના ભવિષ્યને લઈને ચર્ચા તેજ બની છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 20 જૂને ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી વનડે પહેલાં સહાયક કોચના નિવેદને આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે.

ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ ટેન ડોશેટે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ખેલાડીએ પોતાના સ્થાન માટે સતત લડત આપવી પડે છે. તેના જણાવ્યા અનુસાર ટીમની પસંદગી હંમેશા સંતુલન, પિચ અને મેચની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેથી માત્ર પ્રતિભા અથવા ભૂતકાળનું પ્રદર્શન જ સ્થાનની ખાતરી આપી શકતું નથી.

ડોશેટે વધુમાં જણાવ્યું કે જ્યાં કાંડાથી સ્પિનની જરૂરિયાત હોય છે ત્યાં કુલદીપ યાદવે પોતાનું મહત્વ સાબિત કર્યું છે. જોકે કેટલીક પરિસ્થિતિઓમાં ટીમ મેનેજમેન્ટ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરને વધુ મહત્વ આપે છે. ડોશેટના મતે નાના મેદાનો અને ચોક્કસ પરિસ્થિતિઓમાં આવા નિર્ણયો ટીમ માટે ફાયદાકારક સાબિત થયા છે.

આસિસ્ટન્ટ કોચે સ્પષ્ટ કર્યું કે તેનો કુલદીપ યાદવનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. તેણે કહ્યું કે કુલદીપ એક પ્રતિભાશાળી બોલર છે, પરંતુ ટીમમાં અન્ય ઘણા ખેલાડીઓ પણ સ્થાન માટે દાવેદારી કરી રહ્યા છે. આવી સ્પર્ધામાં ટકી રહેવા માટે સતત સારું પ્રદર્શન કરવું જરૂરી બને છે. સાથે જ ટીમ મેનેજમેન્ટનું કામ ખેલાડીઓને સતત સુધારવા અને વધુ સારા બનાવવાનું છે.

જોકે તાજેતરના ફોર્મને લઈને પ્રશ્નો ઊભા થયા છે, કુલદીપ યાદવનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ હજુ પણ સારો છે. તેણે અત્યાર સુધી 121 વનડે મેચોમાં 194 વિકેટ ઝડપી છે, જ્યારે 25 રનમાં 6 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમ છતાં હાલની સ્પર્ધા અને તાજેતરના નબળા પ્રદર્શનને જોતા આગામી ODI ટીમમાં તેનું સ્થાન જળવાઈ રહેશે કે નહીં, તેના પર સૌની નજર ટકેલી છે. (PC:PTI/X/BCCI)