
શ્રીલંકા ક્રિકેટ XI સામેની પ્રેક્ટિસ મેચમાં દેવદત્ત પડિકલે શાનદાર સદી ફટકારી છે. તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતાં 121 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. ત્યારબાદ પડિકલે મોરચો સંભાળ્યો અને આક્રમક બેટિંગ કરીને ટીમની ઇનિંગને સ્થિર કરી હતી.

પડિકલની આ સદી ખાસ એટલા માટે મહત્વની છે કારણ કે નંબર-3ના સ્થાનને લઈને ટીમ મેનેજમેન્ટ સામે મોટો પ્રશ્ન હતો. સાઈ સુદર્શન ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે એવામાં નંબર-3 પર કોને મોકો આપવો એ મોટો સવાલ હતો જેનો હવે જવાબ મળી ગયો છે.

આ સ્થિતિમાં પડિકલે ત્રીજા નંબર પર સદી ફટકારીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. તે અગાઉ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં આ સ્થાન પર બેટિંગ કરી ચૂક્યો છે. તેની આ ઇનિંગથી ટીમ મેનેજમેન્ટને પણ રાહત મળી છે.

પડિકલે ભારત માટે અત્યાર સુધી બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સમાં 90 રન બનાવ્યા છે. હવે લાંબા સમય બાદ તેને ફરી પ્લેઇંગ-11માં તક મળી શકે છે. જો સાઈ સુદર્શન ફિટ નહીં થાય, તો ગાલેમાં પડિકલ નંબર-3 પર રમતો જોવા મળી શકે છે. (PC:X/BCCI)