
IPL 2026 પછી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ફરીથી એક્શનમાં આવશે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી બાદ, BCCI એ હવે એક નવી શ્રેણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અહેવાલ છે કે BCCI એ ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીને મંજુરી આપી છે.

આ ટેસ્ટ શ્રેણીમાં બે મેચ રમાશે. બે ટેસ્ટ મેચનું ચોક્કસ શેડ્યુલ નક્કી થયું નથી, પરંતુ તે 15 થી 27 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ શ્રેણી ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી લંકા પ્રીમિયર લીગ પછી રમાશે. લંકા પ્રીમિયર લીગની ફાઈનલ 9 ઓગસ્ટે છે. જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન શ્રીલંકા સામે ત્રણ મેચની T20 શ્રેણી પણ રમશે કે નહીં.

BCCI સચિવ દેવજીત સૈકિયા હાલ શ્રીલંકામાં છે અને એવું માનવામાં આવે છે કે તેઓ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી અંગે ચર્ચા કરી શકે છે. ત્રણ T20 મેચોના શેડ્યુલ પર પણ ચર્ચા થઈ શકે છે.

BCCI એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને વચન આપ્યું હતું કે તે શ્રીલંકામાં ચક્રવાત દિતાવાહના પીડિતો માટે ભંડોળ એકત્ર કરવા માટે T20 શ્રેણી રમશે. પણ જો ત્રણ મેચની T20 શ્રેણી યોજાશે, તો તે સપ્ટેમ્બરમાં જ યોજાશે, અને ટીમ ઈન્ડિયા આ મહિને પહેલાથી જ ખૂબ વ્યસ્ત છે.

ખાસ વાત એ છે કે જયારે આ સિરીઝ યોજાવાની છે તે દરમિયાન શ્રીલંકામાં વરસાદની મૌસમ પુર જોશમાં હોય છે અને મેચ દરમિયાન ભારે વરસાદ, પવન, વાવાઝોડું અને ચક્ર્વાતની શકયતા હોય છે. એવામાં મેચ રદ થવાની પણ શક્યતા રહે છે.

સપ્ટેમ્બરમાં, ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે છ મેચની શ્રેણી રમશે, જેમાં ત્રણ ODI અને ત્રણ T20 મેચનો સમાવેશ થશે. જોકે, બાંગ્લાદેશનો આ પ્રવાસ હજુ પણ આયોજન હેઠળ છે. જોકે, BCCI તરફથી બાંગ્લાદેશ શ્રેણી અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ શ્રેણી ગયા વર્ષે યોજાવાની હતી પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

બાંગ્લાદેશ પ્રવાસ બાદ, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે શ્રેણી રમશે. આ દરમિયાન એશિયન ગેમ્સ 9 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાશે. ભારત સપ્ટેમ્બરમાં UAEમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20I શ્રેણી પણ રમશે. (PC:PTI/X/BCCI)