
ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ચેતેશ્વર પૂજારાને મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC) તરફથી માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી આપેલા યોગદાન અને શાનદાર પ્રદર્શન બદલ તેને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે.

આ સન્માન મળ્યા બાદ પૂજારાએ કહ્યું કે MCCનું આજીવન સભ્યપદ મેળવવું તેમની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. દરેક ક્રિકેટર લોર્ડ્સમાં રમવાનું સપનું જોતો હોય છે અને હવે આ ઐતિહાસિક સંસ્થાનો આજીવન સભ્ય બનવું તેમના માટે ગર્વની વાત છે.

પૂજારાએ જણાવ્યું કે વર્ષોની મહેનત અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ રીતે માન્યતા મળે તે ખૂબ જ વિશેષ અનુભવ છે. તેમણે કહ્યું કે આ સન્માન તેમને ભવિષ્યમાં પણ ક્રિકેટ માટે યોગદાન આપવાની વધુ પ્રેરણા આપશે.

ચેતેશ્વર પૂજારાએ 2010માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 2023માં પોતાની છેલ્લી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા સામે જ રમી હતી. 103 ટેસ્ટ મેચમાં તેમણે 7,195 રન બનાવ્યા, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 206 રન રહ્યો છે.

2018-19ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાએ 521 રન બનાવી ભારતની ઐતિહાસિક શ્રેણી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મુશ્કેલ પરિસ્થિતિમાં લાંબી ઇનિંગ્સ રમવાની તેમની ક્ષમતાએ તેમને ભારતીય ટેસ્ટ ક્રિકેટના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાં સ્થાન અપાવ્યું છે. (PC:PTI/X)
Published On - 9:19 pm, Wed, 1 July 26