
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થવાની છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાના ફિઝિયોથેરાપિસ્ટ કમલેશ જૈને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ જૂન 2022થી ભારતીય ટીમના મેડિકલ સેટઅપનો ભાગ હતા.

જૈનનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસ અને વારંવાર થતી ઈજાને લઈને ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર થયા છે, જેના કારણે મેડિકલ અને રિહેબિલિટેશન વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે.

કમલેશ જૈનને ભારતીય ક્રિકેટના અનુભવી ફિઝિયોથેરાપિસ્ટમાં ગણવામાં આવે છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બંગાળની સ્થાનિક ટીમ સાથે કરી હતી. ત્યારબાદ 2012થી 2022 સુધી લગભગ એક દાયકા સુધી તેઓ IPLની કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે હેડ ફિઝિયો તરીકે જોડાયેલા રહ્યા હતા.

હવે જૈનની વિદાય બાદ BCCI નવા મુખ્ય ફિઝિયોથેરાપિસ્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અહેવાલો અનુસાર, જૈન હાલમાં ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરી રહ્યા છે અને બોર્ડની મંજૂરી બાદ ટીમ ઈન્ડિયાથી સંપૂર્ણપણે અલગ થશે.

જૈનના રાજીનામા બાદ ટીમ ઈન્ડિયાના મેડિકલ સેટઅપમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળી શકે છે. તેમની જગ્યાએ કોને જવાબદારી સોંપવામાં આવશે તેના પર સૌની નજર રહેશે. બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે જૈન આગામી સમયમાં ફરી કોઈ IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ શકે છે. (PC:PTI/X)