
જો તમે કોઈને બેંક ટ્રાન્સફર, ચેક અથવા લેખિત કરાર દ્વારા રૂપિયા આપ્યા હોય, તો તમારા પાસે પુરાવા હોવાને કારણે કાયદાકીય કાર્યવાહી સરળ બને છે. સૌથી પહેલા, સામેવાળા વ્યક્તિને નમ્રતાથી રૂપિયા પરત આપવા માટે યાદ અપાવવું જોઈએ. ઘણી વખત વાતચીતથી સમસ્યા ઉકેલાઈ જાય છે. જો તેમ છતાં રૂપિયા પરત ન મળે તો લીગલ નોટિસ મોકલી શકાય છે.

વકીલ મારફતે મોકલવામાં આવતી લીગલ નોટિસમાં ઉધાર આપેલી રકમ, તારીખ અને ચુકવણી માટેનો સમયગાળો ઉલ્લેખિત કરવામાં આવે છે. ઘણી વખત નોટિસ મળ્યા બાદ લોકો રૂપિયા પરત આપી દે છે. જો તેમ છતાં સમસ્યા હલ ન થાય તો કોર્ટમાં નાણાં વસૂલાત માટે સિવિલ કેસ દાખલ કરી શકાય છે.

જો ઉધાર આપતી વખતે ચેક આપવામાં આવ્યો હોય અને તે બાઉન્સ થાય તો Negotiable Instruments Act હેઠળ ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. ચેક બાઉન્સ કેસમાં આરોપી સામે દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. જોકે, કેસ દાખલ કરવા માટે નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવું જરૂરી છે.

કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેશમાં મોટી રકમ આપવાનું ટાળવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બેંક ટ્રાન્સફર, ઓનલાઈન પેમેન્ટ અથવા લેખિત એગ્રીમેન્ટ કરવું સુરક્ષિત રહે છે. વોટ્સએપ ચેટ, મેસેજ, કોલ રેકોર્ડિંગ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ પુરાવા તરીકે ઉપયોગી બની શકે છે.

ઉધાર આપતા પહેલા વ્યક્તિની વિશ્વસનીયતા ચકાસવી પણ એટલી જ જરૂરી છે. ભાવનામાં આવીને અથવા માત્ર ઓળખાણના આધારે મોટી રકમ આપવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

જો યોગ્ય દસ્તાવેજો અને પુરાવા હોય તો કાયદો તમારા અધિકારોનું રક્ષણ કરે છે અને ઉધાર આપેલી રકમ પાછી મેળવવામાં મદદરૂપ બની શકે છે.