
ઉનાળાની શરૂઆત થતાં જ આકરી ગરમી અને તીવ્ર તરસથી બચવા માટે આપણે સૌ પ્રથમ ફ્રિજ તરફ દોડીએ છીએ. ગરમીમાં ઠંડુંગાર પાણી પીવું એ જાણે સૌથી મોટું સુખ લાગે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તરસ છિપાવવા માટે તમે જે ફ્રિજના 'ચિલ્ડ' પાણીનો સહારો લો છો, તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે? બીજી તરફ આપણા પૂર્વજોના સમયથી ચાલ્યું આવતું માટલું આજે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કે કેમ આ ઉનાળે તમારે ફ્રિજની બોટલ છોડીને માટલા તરફ વળવું જોઈએ.

પાચનશક્તિ પર પડતી ગંભીર અસર : ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, ફ્રિજનું અતિશય ઠંડું પાણી પીવાની આદત તમારી પાચન પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરે છે. જ્યારે આપણે ખૂબ જ ઠંડું પાણી પીએ છીએ, ત્યારે તે શરીરની પાચનશક્તિને ધીમી પાડી દે છે.

પાચનના વિકાર: પાચન પ્રક્રિયા મંદ પડવાને કારણે ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. એસિડિટી અને ઉલટી: લાંબા ગાળે ફ્રિજનું પાણી એસિડિટી અને ઉલટી જેવી સમસ્યાઓ નોંતરે છે. કુદરતી ઠંડક ધરાવતું પાણી શરીરના તાપમાન સાથે સુમેળ સાધે છે, જ્યારે ફ્રિજનું પાણી શરીરની કુદરતી વ્યવસ્થામાં ખલેલ પહોંચાડે છે.

ગળા અને શ્વસનતંત્રની સમસ્યાઓ : ફ્રિજના અતિશય ઠંડા પાણીથી માત્ર પેટ જ નહીં, પરંતુ ગળા અને શ્વસનતંત્રને પણ નુકસાન થાય છે. આનાથી થતી શારીરિક તકલીફોની યાદી લાંબી છે:

ગળામાં દુખાવો: અતિશય ઠંડકને કારણે ગળામાં સોજો કે દુખાવો થઈ શકે છે. નાકની સમસ્યા: નાક બંધ થઈ જવું અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. શરદી અને ખાંસી: વારંવાર ઠંડું પાણી પીવાથી શરદી- ખાંસી થવાનું જોખમ વધી જાય છે. દાંતની સંવેદનશીલતા: વધુ પડતું ઠંડું પાણી દાંતમાં સેન્સિટિવિટી (ઝણઝણાટી) પેદા કરી શકે છે. ફ્રિજનું ખૂબ જ ઠંડું પાણી આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખૂબ જ ઠંડું પાણી પીવાથી ગળામાં દુખાવો, નાકમાં સમસ્યા અથવા બંધ થવા જેવી તકલીફો થઈ શકે છે.

ડિહાઇડ્રેશનનો છુપો ખતરો : સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે ઠંડું પાણી પીવાથી તરસ જલ્દી છિપાય છે, પરંતુ આ હકીકતમાં એક ભ્રમ છે. ફ્રિજનું ચિલ્ડ પાણી પીવાથી તમારી તરસ ઝડપથી મટી જાય છે, જેના પરિણામે તમે શરીરને જરૂરી હોય તેના કરતા ઓછું પાણી પીઓ છો

આના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે જેને 'ડિહાઇડ્રેશન' કહેવામાં આવે છે. શરીરમાં પાણી ઘટવાને કારણે ત્વચા સૂકી થઈ જાય છે અને હોઠ ફાટવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આમ, ફ્રિજનું પાણી તરસ તો મટાડે છે પણ શરીરને પૂરતું હાઇડ્રેશન પૂરું પાડતું નથી.

માટલાનું પાણી કુદરતી અમૃત : ઉનાળામાં માટલાનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. માટલામાં પાણી કુદરતી રીતે જ ઠંડું થાય છે જે શરીર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. વધુ હાઇડ્રેશન: માટલાનું પાણી 'આલ્હાદક ઠંડું' હોય છે, જેના કારણે આપણે તૃપ્ત થઈને પૂરતા પ્રમાણમાં પાણી પીએ છીએ. આથી શરીર યોગ્ય રીતે હાઇડ્રેટેડ રહે છે. રોગોથી બચાવ: યોગ્ય માત્રામાં પાણી પીવાથી ઉનાળામાં થતા ડિહાઇડ્રેશન અને અન્ય ગરમીના રોગોથી બચી શકાય છે. જો તમારે ફ્રિજનું પાણી પીવું જ હોય, તો અતિશય ચિલ્ડ પાણી પીવાનું ટાળો. તેની જગ્યાએ નોર્મલ ઠંડું પાણી પીવું વધુ હિતાવહ છે. Input Credits: Getty Images