
કાગળ પર ભલે ટીમ ઈન્ડિયા મજબૂત દેખાતી હોય પરંતુ આ વખતે સામે એક એવી ટીમ છે કે, જેણે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. ઝિમ્બાબ્વેએ માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને જ નથી હરાવી પરંતુ અજેય રહીને સુપર-8માં પોતાની જગ્યા બનાવી છે.

હવે ભારતીય ટીમ સામે સૌથી મોટો ખતરો ઝિમ્બાબ્વે અને તેનો ઓપનિંગ બેટ્સમેન છે. ઝિમ્બાબ્વે ઓપનર બ્રાયન બેનેટે આ ટૂર્નામેન્ટમાં ત્રણ ઇનિંગ્સમાં 175 રન બનાવ્યા છે અને હજુ સુધી એક પણ વાર આઉટ થયો નથી.

આ વર્લ્ડ કપમાં 100 થી વધુ રન બનાવીને પણ દરેક મેચમાં અણનમ (Not Out) રહેનાર તે એકમાત્ર બેટ્સમેન છે. ખાસ વાત એ છે કે, તેણે એક પણ સિક્સર માર્યા વગર આ તમામ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે 56 બોલમાં અણનમ 64 રન અને શ્રીલંકા સામે 48 બોલમાં 63* રનની ઇનિંગ્સ રમીને ઝિમ્બાબ્વેને ઐતિહાસિક જીત અપાવી હતી. આયર્લેન્ડ સામે પણ તેણે અણનમ 48 રન બનાવીને ટીમને આસાન જીત અપાવી હતી.

ઓપનિંગ બેટ્સમેન બ્રાયન બેનેટ ટૂર્નામેન્ટમાં સતત મોટી ઇનિંગ્સ રમીને પોતાની ટીમ માટે એક મજબૂત સ્તંભ સાબિત થયો છે. તેની હાજરીએ બાકીના બેટ્સમેનોને આક્રમક રમવાની તક આપી છે. બેનેટનો ઓપનિંગ પાર્ટનર તાદિવાનાશે મારુમાની 155ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે, જ્યારે કેપ્ટન સિકંદર રઝા પણ લગભગ 183ના સ્ટ્રાઈક રેટથી મહત્વની ઇનિંગ્સ (કેમિયો) રમી ચૂક્યો છે.

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાનારા મુકાબલામાં જો ભારતને જીત નોંધાવવી હોય, તો સૌથી પહેલા આ ઓપનરને રોકવો પડશે. ઝિમ્બાબ્વે આ વર્લ્ડ કપમાં એક પરીકથા (Fairytale) લખી રહ્યું છે અને તે વાર્તાનો નાયક અત્યારે બ્રાયન બેનેટ છે. હવે જોવાનું એ રહેશે કે, શું ભારત ઝિમ્બાબ્વેની આ શાનદાર લય પર બ્રેક લગાવી શકશે કે પછી ઝિમ્બાબ્વેની જીતની ગાથા આગળ પણ યથાવત રહેશે?