
ગુરુ સીતારામ બાપુએ ભક્તિરામમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી લીધી અને ભાવપૂર્વક કહ્યું, “તમે તો પોતે જ ગુરુત્વનું સ્વરૂપ છો. તમારા તરફથી નહીં, પણ મને તમારી માટે કશું આપવાનું છે.” એ સાંભળીને ભક્તિરામ વિનમ્રતાથી બોલ્યા, “જો આપ મને કંઈ આપવા માંગતા હો તો એવું આશીર્વાદ આપો કે મારા હોઠેથી રામનામનું સ્મરણ સતત જળવાય રહે.”આ પ્રેમભર્યા સંવાદથી પ્રસન્ન થઈ સીતારામ બાપુએ તેમને ‘બજરંગી’ નામની ભેટ આપી અને કહ્યું કે, “આ જગત તમને હવે બજરંગદાસ તરીકે ઓળખશે.”ત્યાંથી ભક્તિરામ “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” તરીકે લોકપ્રિય બન્યા

ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ બજરંગદાસ બાપાએ સમગ્ર ગુજરાતમાં યાત્રા અને સેવાભાવથી ભરેલું જીવન વિતાવવાનું શરૂ કર્યું. આશરે ઈ.સ. 1941ના સમયગાળામાં તેઓ બગદાણા ગામે પધાર્યા. અહીંની પવિત્ર બગડ નદી, બગડેશ્વર મહાદેવ મંદિર, ઋષિ બગડાલવના નામ પરથી ઓળખાતું કુંડ તથા સમગ્ર પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણ તેમને આકર્ષ્યું, અને તેમણે યહિં સ્થાયી થવાનો નિર્ણય લીધો.

ઈ.સ. 1951માં તેમણે બગદાણામાં આશ્રમની સ્થાપના કરી અને 1959માં અન્નક્ષેત્ર શરૂ કર્યું, જ્યાં ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ અને ભોજન મળતું હતું. ત્યારબાદ મંદિરમાં ભવ્ય શિલ્પકલા સાથે માળખું ઊભું કરાયું, જેમાં ખાસ કરીને આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. બજરંગદાસ બાપાએ 1977માં દેહત્યાગ કર્યો., પરંતુ તેમની ભક્તિ અને સેવા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

બગદાણા ગામે બજરંગદાસ બાપાનો સ્થાપિત કરેલો આશ્રમ આજે એક પવિત્ર યાત્રાધામ રૂપે ઓળખાય છે. શરૂઆતમાં અહીં માત્ર એક ઝૂંપડી હતી, જ્યાં બાપા નિવાસ કરતા હતા. આજે એ સ્થાન પર વિશાળ ગુરૂ આશ્રમ વિકસિત થયો છે, જેને "ગુરુ આશ્રમ" તરીકે ઓળખવામાં આવે છે.

આ આશ્રમમાં દર વર્ષ બે મુખ્ય ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે.એક તો પોષ વદ ચોથના દિવસે ઉજવાતી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ અને બીજો અષાઢ સુદ પંદર એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ. આ અવસરો પર હજારો ભક્તો બાપાની ભક્તિમાં લીન થઈ આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)