
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જ્યારે તે કોઈની પાસેથી પસાર થાય, ત્યારે દુર્ગંધ નહીં પણ સુગંધ આવે. જો કે, ઉનાળામાં પરસેવાની દુર્ગંધ સૌથી વધુ પરેશાન કરે છે, જેનાથી બચવા માટે મોટાભાગના લોકો મોંઘામાં મોંઘા પરફ્યુમ અને ડિયો ખરીદે છે તેમજ તેનો ઉપયોગ કરે છે.

એવામાં અવારનવાર એવી ફરિયાદ રહે છે કે, ઘરની બહાર નીકળ્યાના અડધા-એક કલાકમાં જ પરફ્યુમની સુગંધ ગાયબ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ભૂલ તમારા પરફ્યુમમાં નથી પરંતુ તેને લગાવવાની રીતમાં છે.

પરફ્યુમ લગાવવાની સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે. સૌથી અસરકારક જગ્યા કાનની પાછળનો ભાગ છે, કારણ કે ત્યાંની ત્વચા પાતળી હોય છે અને ગરમાવો રહે છે, જેના કારણે સુગંધ ચહેરા તેમજ વાળની આસપાસ જળવાઈ રહે છે.

આ સિવાય ઘૂંટણની પાછળ પરફ્યુમ લગાવવો પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે સુગંધ હંમેશા નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે અને ચાલતી વખતે શરીરની ગરમીથી તે ઉપર તરફ ઊઠે છે. લાંબા સમય સુધી સુગંધ ટકાવી રાખવા માટે ગરદન પાસે પણ પરફ્યુમ લગાવવો જોઈએ. વધુમાં, પરફ્યુમ લગાવતા પહેલા તે જગ્યા પર થોડું સુગંધ વગરનું વેસેલિન અથવા મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ, કારણ કે ડ્રાય સ્કીન પરફ્યુમને જલ્દી શોષી લે છે.

એક ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખવી કે, કાંડા પર પરફ્યુમ લગાવીને તેને ક્યારેય ઘસવું જોઈએ નહીં, કારણ કે તેમ કરવાથી પરફ્યુમના મોલેક્યુલ્સ તૂટી જાય છે અને તેની મુખ્ય સુગંધ ખતમ થઈ જાય છે. પરફ્યુમ લગાવવાનો સૌથી ઉત્તમ સમય નહાયા પછીનો છે, કારણ કે ત્યારે શરીરના રોમછિદ્રો ખુલ્લા હોય છે અને સુગંધ સ્કીનમાં સારી રીતે સેટ થઈ જાય છે.