
ભારતને આજે વિશ્વસ્તરે 'India' અને 'Bharat' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ પ્રાચીન સભ્યતાઓ અને વેપારીઓએ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસના આધારે ભારતને અલગ-અલગ અનોખા નામો આપ્યા હતા.

પ્રાચીન ચીનમાં ભારતને 'તિયાનઝુ' કહેવાતું હતું, જે 'સિંઘુ' (સિંધુ) શબ્દ પરથી બન્યું હતું. ચીની બૌદ્ધ ભિક્ષુઓ ભારતને જ્ઞાન, અધ્યાત્મ અને ભગવાન બુદ્ધની ભૂમિ માનતા હતા. (હવે ચીનમાં 'યિંદુ' શબ્દ વપરાય છે).

પ્રસિદ્ધ ચીની પ્રવાસીઓ ફાહિયાન અને 'હ્યુ એન સાંગે' પણ પોતાના ભારતના પ્રવાસ વર્ણનમાં આ ભૂમિ માટે 'તિયાનઝુ' શબ્દનો જ ઉપયોગ કર્યો હતો.

જાપાની ભાષામાં ચીનમાંથી જ આ શબ્દ 'તેનજિકુ' તરીકે આવ્યો. જાપાન સાહિત્ય અને લોકકથાઓમાં ભારતને પવિત્ર જ્ઞાનના કેન્દ્ર તરીકે ખૂબ જ સન્માન સાથે 'તેનજિકુ' કહેવામાં આવ્યું છે.

હિબ્રૂ ભાષામાં ભારતને 'હોદુ' કહેવામાં આવે છે. પવિત્ર બાઈબલના 'બુક ઓફ એસ્થર'માં પણ ભારત માટે આ જ શબ્દનો ઉલ્લેખ મળે છે, જે સિંધુ નદીના નામ પરથી આવ્યો છે.

ઈઝરાયેલમાં સત્તાવાર રીતે 'India' વપરાય છે, પરંતુ ત્યાંની સ્થાનિક હિબ્રૂ ભાષા, મીડિયા, શાળાઓ અને રોજિંદી બોલચાલમાં આજે પણ ભારતને 'હોદુ' જ કહેવાય છે.

પ્રાચીન ફારસી (ઈરાની) ભાષામાં 'સ' નો ઉચ્ચાર 'હ' થતો હતો. આથી 'સિંધુ' નદી પરથી તેઓ આ ભૂમિને 'હિન્દ' અને રહેવાસીઓને 'હિન્દુ' કહેવા લાગ્યા.

ફારસી શબ્દ 'હિન્દ' સાથે 'સ્તાન' (એટલે કે સ્થાન/દેશ) જોડાવાથી 'હિન્દુસ્તાન' શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે 'હિન્દની ભૂમિ'. મુઘલ કાળ અને મુસ્લિમ શાસકો દરમિયાન આ નામ ખૂબ લોકપ્રિય બન્યું.

પ્રાચીન કોરિયન અને બૌદ્ધ સાહિત્યમાં ભારત માટે 'ચેઓનચુક' શબ્દ જોવા મળે છે. જોકે, તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત હતો. આજે દક્ષિણ કોરિયામાં ભારતને 'ઈન્ડો' (Indo) કહેવામાં આવે છે.

ભારત દેશના આ તમામ અલગ-અલગ નામો માત્ર શબ્દો નથી, પરંતુ તે દર્શાવે છે કે પ્રાચીન કાળથી જ ભારતનો વેપાર, બૌદ્ધ ધર્મ અને આધ્યાત્મિક પ્રભાવ સમગ્ર વિશ્વમાં કેટલો ઊંડો હતો.
Published On - 4:16 pm, Mon, 3 August 26