
ગુજરાત સહિત દેશભરમાં 26 જાન્યુઆરી નિમિત્તે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. અમદાવાદની જિલ્લા કક્ષાની ઉજવણી વિરમગામ ખાતે કરવામાં આવી. મંત્રી બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

વિરમગામની શેઠ એમ.જે. હાઈસ્કૂલમાં અમદાવાદની જિલ્લા કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.મંત્રી બલવંતસિંહ રાજપૂતે 75માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતુ.

આ પ્રસંગે તેમણે સંબોધન કર્યુ હતું. તેમણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરૂષોને યાદ કર્યા. સાથે જ જણાવ્યુ કે તિલકજી, નેતાજી, સાવરકરજી, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ જેવા શહીદોએ પોતાના જીવન આઝાદી માટેની આગમાં હોમી દીધા.

તેમણે કહ્યુ કે, આજે સતતપણે આપણી સીમાઓ ઉપર ખડે પગે તહેનાત રહીને આપણા સૌનું અને દેશની અખંડતાનું રક્ષણ કરનારા સૈનિકોને વિરમગામની એમ.જે. હાઈસ્કુલના પરિસરમાંથી નમન કરું છું.

તેમણે જણાવ્યુ કે, અંત્યોદય, સર્વાંગી વિકાસ, સહીત દેશમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આંતરમાળખાકીય અને નીતિ વિષયક ક્ષેત્રે ઐતિહાસિક કામ થયા.

તેમણે જણાવ્યુ કે, આઠ હજારથી વધુ યુવાનોએ માય ભારત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું તથા ચાલીસ હજારથી વધારે આયુષ્યમાન કાર્ડ અપાયા.. આ કામગીરી માટે હું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને પણ શુભેચ્છાઓ પાઠવું છું.