
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પરથી શ્રીલંકાની એરલાઇન FitsAirની અમદાવાદ-કોલંબો વચ્ચેની પ્રથમ સીધી ફ્લાઇટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ નવી એર સેવા ભારત અને શ્રીલંકા વચ્ચેના હવાઈ જોડાણને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

આ નવી ફ્લાઇટ સેવા સાથે "ચાલો કોલંબો, હાલો શ્રીલંકા" અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે પર્યટનને પ્રોત્સાહન આપવાનો, સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવાનો તેમજ વેપાર અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

ઉદ્ઘાટન સમારોહમાં શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર Sanath Jayasuriya મુખ્ય આકર્ષણ રહ્યા હતા. તેમની સાથે ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી ડૉ. અવતાર સિંહ શાસ્ત્રી, VSHFAના ઉપાધ્યક્ષ પવન સિંધિ તેમજ ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સુલ અને GSEC લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર રાકેશ આર. શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના સંબોધન, પ્રથમ મુસાફરને પ્રતીકાત્મક બોર્ડિંગ પાસ અર્પણ કરવાનો કાર્યક્રમ, કેક કટિંગ અને સ્મૃતિરૂપે ગ્રુપ ફોટોગ્રાફનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર સમારોહમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વધતા સંબંધોની ઝલક જોવા મળી હતી.

અમદાવાદ સતત પશ્ચિમ ભારતના મહત્વપૂર્ણ એવિએશન હબ તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે. FitsAirની આ નવી સીધી ફ્લાઇટ શરૂ થતાં હવે ગુજરાત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસ વધુ સરળ બનશે. સાથે જ વેપાર, પર્યટન, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ગતિ મળશે.

આ નવી એર કનેક્ટિવિટી બંને દેશોના નાગરિકો માટે માત્ર મુસાફરીની સુવિધા જ નહીં, પરંતુ નવા અવસરો અને સહકારના દ્વાર પણ ખોલશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આ સેવા એક મહત્વપૂર્ણ સેતુ સાબિત થવાની અપેક્ષા છે.