
'AC' ગરમીથી તો રાહત આપે છે પણ શું તમે જાણો છો કે, કલાકો સુધી ઠંડી હવામાં બેસી રહેવું તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે? હા, સતત AC ની ઠંડી હવામાં બેસી રહેવાથી શરીર પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. AC હવામાંથી ભેજ શોષી લે છે, જેના કારણે રૂમની હ્યુમિડિટી (ભેજ) 30% થી પણ ઓછી થઈ જાય છે. ઓછો ભેજ હોવાને કારણે આપણી શ્વાસનળીનું મ્યુકસ મેમ્બ્રેન સુકાવા લાગે છે. આનાથી ગળામાં ખરાશ, સૂકી ખાંસી અને નાકમાં બળતરાની સમસ્યા વધી જાય છે. સાથે જ, ત્વચા અને આંખોમાં પણ શુષ્કતા (ડ્રાયનેસ) અનુભવાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા મુજબ, આધુનિક ઇમારતોમાં જ્યાં હવાની અવરજવર ઓછી હોય છે અને એ જ હવા વારંવાર સર્ક્યુલેટ થાય છે, ત્યાં 'સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ'નું જોખમ વધી જાય છે. આના લક્ષણોમાં માથાનો દુખાવો, થાક, ચિડિયાપણું અને એકાગ્રતામાં ઘટાડો જોવા મળે છે. વધુમાં, જ્યારે તમે બહારની 40°C-45°C ગરમીમાંથી અચાનક 18°C-20°C વાળા AC રૂમમાં આવો છો, ત્યારે શરીરને 'થર્મલ શોક' લાગે છે. તાપમાનમાં આ અચાનક ફેરફાર લોહીની નળીઓને સંકોચી દે છે, જેનાથી સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં જકડન અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

જો AC ના ફિલ્ટરની નિયમિત સફાઈ ન કરવામાં આવે તો તેમાં ધૂળ, ફૂગ અને બેક્ટેરિયા પેદા થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના મતે, ઉનાળા દરમિયાન શહેરી વસ્તીમાં શ્વસન સંબંધી ઇન્ફેક્શન વધવાનું એક મુખ્ય કારણ ગંદા AC ફિલ્ટર છે. AC નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો શક્ય નથી પરંતુ કેટલાક ઉપાયોથી તેની આડઅસરો ઘટાડી શકાય છે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના જણાવ્યા અનુસાર, 24 થી 26 ડિગ્રીનું તાપમાન માનવ શરીર માટે સૌથી યોગ્ય છે. તે માત્ર વીજળી જ નથી બચાવતું પરંતુ શરીરને બહારના તાપમાન સાથે તાલમેલ બેસાડવામાં પણ મદદ કરે છે. AC માં પરસેવો આવતો નથી પરંતુ શરીરનો ભેજ અંદરથી ઓછો થતો રહે છે. આથી તરસ ન લાગે તો પણ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવો.

એલર્જી અને ઇન્ફેક્શનથી બચવા માટે દર 2-4 અઠવાડિયે AC ના ફિલ્ટર સાફ કરો. દર બે-ત્રણ કલાકે થોડીવાર માટે AC માંથી બહાર નીકળો અથવા બારીઓ ખોલો, જેથી તાજી હવા અને ઓક્સિજન મળી રહે. જણાવી દઈએ કે, AC ની હવા સીધી શરીર કે માથા પર ન પડવા દો. આનાથી સાઇનસ અને સ્નાયુઓમાં દુખાવો થવાનું જોખમ વધી જાય છે.