
દુનિયાભરમાં સોનાની વધતી માંગ વચ્ચે ભારતમાં 50 ટન સોનાનો ભંડાર મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાનો આ ભંડાર દક્ષિણના રાજ્ય આંધ્ર પ્રદેશમાં મળ્યો છે. આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર બની શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, આનાથી દેશમાં માત્ર ગોલ્ડ પ્રોડક્શન જ નહીં વધે પરંતુ ગોલ્ડ ઈમ્પોર્ટ (સોનાની આયાત) પર દેશની નિર્ભરતા પણ ઓછી થવાની આશા છે. એક અધિકારીએ જણાવ્યું કે, એકલા કુર્નૂલ જિલ્લાના જોન્નાગિરી ગામમાં આશરે 50 ટન સોનાનો ભંડાર મળ્યો છે.

માઇન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીણાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સોનાના માઇનિંગ (ખનન) માટે જોન્નાગિરી સિવાય અન્ય ચાર સંભવિત સ્થળની ઓળખ કરવામાં આવી છે. આમાં રામાગિરી, જવ્વકુલા અને ચિગુરુકુંટા બિસ્નાટમનો સમાવેશ થાય છે. તેમણે અંદાજ વ્યક્ત કર્યો કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે 50 ટન જેટલું સોનું છે. એટલા માટે આંધ્ર આગામી થોડા વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર બની શકે છે. સરકાર આ મિનરલ-રિચ (ખનિજથી સમૃદ્ધ) સ્થળોની વધુ શોધ અને વિકાસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

જોન્નાગિરીમાં સોનાનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થવા અંગે તેમણે જણાવ્યું કે, કુર્નૂલના આ ગામમાં આશરે એક દાયકા પહેલા ગોલ્ડ માઇનિંગ માટે 1,500 એકર જમીન ફાળવવામાં આવી હતી. જો કે, માત્ર 500 એકરમાં જ સોનાની શોધનું કામ કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર આશરે 13 ટન સુધી સોનું મળવાનો અંદાજ હતો. બાકીની 1,000 એકર જમીનમાં સોનું શોધવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. એકલા જોન્નાગિરીમાં કુલ ગોલ્ડ રિઝર્વ 50 ટન હોવાનો અંદાજ છે.

જોન્નાગિરીમાં મળેલા 50 ટન સોનાના ભંડારની સ્થાનિક બજારના હિસાબે અંદાજિત કિંમત 7,500 કરોડ રૂપિયાથી 9,000 કરોડ રૂપિયાની વચ્ચે છે. કિંમતોમાં રોજબરોજ થતા ફેરફારને કારણે આ કિંમત ઓછી કે વધુ પણ હોઈ શકે છે. મોટી માત્રામાં સોનાનો ભંડાર મળવાથી સ્થાનિક સ્તરે સોનાનું ઉત્પાદન વધવાની સંભાવના છે.

મુકેશ કુમાર મીણાએ ભારપૂર્વક જણાવ્યું કે, ગોલ્ડ માઇનિંગ માટે મોટી રકમની સાથે-સાથે ખૂબ જ ખાસ નોલેજની જરૂર હોય છે. તેમણે ટેન્ડર દ્વારા ખાનગી કંપનીઓને ગોલ્ડ માઇનિંગનું કામ સોંપવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં માઇનિંગ દ્વારા સોનું કાઢવામાં ઘણો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન કાઢવામાં આવેલા એક ટન મટીરિયલની પ્રોસેસિંગ કરવા પર માત્ર એક ગ્રામ સોનું જ મળી શકે છે.

તેમણે જણાવ્યું કે, પહેલા એક ટન માઇનિંગ મટીરિયલની પ્રોસેસિંગથી ત્રણ ગ્રામ સોનું મળતું હતું. 0.8 ગ્રામથી ઓછું સોનું નીકળવું આર્થિક રીતે ફાયદાકારક હોતું નથી. તેમણે એ પણ જણાવ્યું કે, સીએમ ચંદ્રબાબુ નાયડુ આ મહિનાના અંતમાં સત્તાવાર રીતે જોન્નાગિરી ગોલ્ડ માઇનિંગની શરૂઆત કરશે.

ભારતમાં દર વર્ષે આશરે 800 ટન સોનાનો વપરાશ થાય છે પરંતુ વર્ષ 2000માં કર્ણાટકમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF) બંધ થયા પછી સોનાનું સ્થાનિક પ્રોડક્શન ઘટ્યું છે. હાલમાં કર્ણાટકમાં સરકારી હુટ્ટી ગોલ્ડ માઇન્સ જ ભારતની એકમાત્ર મોટી એક્ટિવ ગોલ્ડ પ્રોડ્યુસર છે. આનાથી દર વર્ષે દેશને આશરે 1.5 ટન સોનું મળે છે. જો કે, માંગ વધારે હોવાને કારણે બીજા દેશોમાંથી 'સોનું' મંગાવવું પડે છે.