AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી વિશે જાણકારોનો અંદાજ

નરેન્દ્ર મોદી વિશે કોઈ ખાસ પુસ્તકો લખાયા નથી, પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોની સંખ્યા 200થી વધુ થવા જાય છે. હમણા મે,2021માં તેમના શાસનપદને વીસ વર્ષ પૂરાં થયા તેનું વિશ્લેષણ કરતું એક દળદાર (438 પાના) પુસ્તક "મોદી @ટ્વેન્ટીઃ ડ્રીમ્સ એંડ રિયાલિટી" પ્રકાશિત થયું છે.

મોદી વિશે જાણકારોનો અંદાજ
PM Narendra Modi Image Credit source: File Image
| Updated on: Aug 16, 2022 | 10:21 PM
Share

હુ ઈઝ મોદી? ઈઝ હી ફ્રોમ ગાંધી’ઝ ગુજરાત? આ પ્રશ્નો હમણા કેરેબિયન કન્ટ્રીની એક પત્રકાર મહિલા ડાયેના વિબ્સે પૂછ્યા છે, એક સ્થાનિક અખબારના લેખમાં. જવાબ તો, એકલા કેરેબિયન્સે નહીં, રશિયા-અમેરિકા-ચીન-પાકિસ્તાનેય મેળવવા જેવો છે. રાહુલ ગાંધી “હું તેમને બરાબર ઓળખું છું” એમ કહે ત્યારે વિફળ વિપક્ષની પ્રતિક્રિયા માત્ર છે

વ્યક્તિ પ્રચારક

નરેન્દ્ર મોદી વિશે કોઈ ખાસ પુસ્તકો લખાયા નથી, પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોની સંખ્યા 200થી વધુ થવા જાય છે. હમણા મે,2021માં તેમના શાસનપદને વીસ વર્ષ પૂરાં થયા તેનું વિશ્લેષણ કરતું એક દળદાર (438 પાના) પુસ્તક “મોદી @ટ્વેન્ટીઃ ડ્રીમ્સ એંડ રિયાલિટી” પ્રકાશિત થયું છે.

આ પુસ્તક એટલા માટે મહત્વનું છે કે તેમાં મુખ્યપ્રધાનથી વડાપ્રધાન સુધીની રાજકીય સફરમાં જે ઉપલબ્ધિ થઈ તે ઐતિહાસિક છે અને નિર્ણાયક પણ છે તેનું વિગતે વિશ્લેષણ વિવિધ ક્ષેત્રોના વીસ મહાનુભાવોએ કર્યું છે. સામાન્ય રીતે અગાઉ જે પુસ્તકો લખાયા તેમાં બે છેડા હતા. કાં તો આલોચનાનો અથવા પ્રશંસાનો અતિરેક. તેની વચ્ચે ભારતીય રાજકારણના ઈતિહાસમાં આ તેજસ્વી વડાપ્રધાનનું મૂલ્યાંકન ગૂમ થયું હોય એવું લાગે. મોદી@20 ગ્રંથમાં મોદીના વીસ વર્ષોની આવિકારિક અને જરીકેય અતિશયોક્તિ વિનાની દાસ્તાન છે.

લતા મંગેશકરે તેમના અવસાન પૂર્વે થોડાક જ મહિના પર આ પુસ્તકની પ્રસ્તાવના લખી. કદાચ, મૃત્યુ પૂર્વેની આ છેલ્લી નોંધ હતી, જેમાં લતાજીએ “પોતે નજરે નિહાળેલા” આત્મીય ભાઈ અને રાષ્ટ્ર માટે પ્રતિબદ્ધ રાજનેતા તરીકેનો ચંદરવો બાંધી આપ્યો છે. અને પછી સાડા બાર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને સાડા સાત વર્ષથી ભારતના વડાપ્રધાન મોદી વિશે – તેમના વિવિધ પાસાઓની ચર્ચા લેખકોએ કરી છે. તેમાં 2002, 2007 અને 2012માં ગુજરાતમાં શાસન તેમજ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી પછીના વડાપ્રધાનપદની રાજકીય-સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિઓની વિગતો તેમજ વિશ્લેષણ છે. આ ગ્રંથનું વિષયવૈવિધ્ય પાંચ ખંડમાં છે, અને તેના બાવીસ પ્રકરણો છે.

કોણે લખ્યા છે આ લેખો?

અજય માથુર આઈએસએ (ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્ટરનેશનલ સોલાર) છે. આ સંગઠન ભારત અને હોલેંડના સંયુક્ત પ્રયાસોથી રચાયેલું છે. અજિત ડોભાલ એનએસએ (નેશનલ સિક્યુરિટી એડવાઈઝર ઓફ ઈન્ડિયા) છે. વિવેકાનંદ ઈન્ટરનેશન ફાઉન્ડેશનના વૈચારિક માર્ગદર્શક ડોભાલની પાસે રાષ્ટ્રીય સુરક્ષાના એકદમ સ્પષ્ટ અને અસરકારક ખ્યાલ છે.

અમિષ ત્રિપાઠી આપણા વિશ્વવ્યાપી ખ્યાત સાંસ્કૃતિક લેખક, નેહરુ કેન્દ્રને અત્યારે સંભાળે છે. અમિત શાહ – ગૃહપ્રધાન અને રાજકીય સંગઠનાત્મક વ્યૂહરચના નિષ્ણાતે મોદીને છેક 1984થી અત્યાર સુધી નજીકથી જાણે છે તેની રાજકીય શૈલીનો અંદાજ આ લેખમાં આપ્યો છે. અનુપમ ખેર, કાશ્મીરી પંડિત અને જાણીતા અભિનેતાએ વ્યાપક ચરિત્ર ઉપસાવ્યું છે. અરવિંદ પાથગરિયા નીતિ આયોગના પહેલા ઉપાધ્યક્ષ હતા, અશોક ગુલાંટી વાજપેયી સરકારમાં ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાં સક્રિય રહ્યા. ડૉ.દેવી શેટ્ટી નારાયણ હેલ્થના અધ્યક્ષ તેમજ આરોગ્યક્ષેત્રે ટેક્નોલોજીના નિષ્ણાત ગણાય છે. નંદન નિલકર્ણી અને ‘આધાર’ એકબીજાના પૂરક બની ગયેલા. પદ્મભૂષણ કુલકર્ણીએ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ના સ્થાપક પ્રમુખ, જેમણે ‘આધારનો’ પ્રારંભ કરાવ્યો.

નૃપેંદ્ર મિશ્રા રામજન્મભૂમિ મંદિર નિર્માણના પ્રમુખ તો છે જ, થોડા વર્ષો પીએમઓમાં પ્રિન્સિપલ સેક્રેટરી રહ્યા હતા. પ્રદીપ ગુપ્તા જાણીતા સેફોલોજિસ્ટ છે. પી.વી.સિંધુ આપણી બેડમિંટન ચેંપિયન, સદગુરુ યોગી-આધ્યાત્મિક-દૂરદ્રષ્ટા છે. ડૉ.શમિક પુરી આરોગ્યથી અર્થશાસ્ત્ર સુધીમાં પ્રભાવી છે. સુધા મૂર્તિ એટલે ઈન્ફોસિસ ફાઉંડેશન!, સુરજિત ભલ્લા ખ્યાત અર્થશાસ્ત્રી અત્યારે આઈએમએફના કાર્યકારી નિયામક પણ છે. ડૉ.એસ જયશંકર વિદેશમંત્રી અને ‘ઈન્ડિયા વેઃ સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટન વર્લ્ડ’ના લેખક ઉદય કોટક, કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. ડૉ.વી.અનંત નાગેશ્વરમ નાણા મંત્રાલયના સલાહકાર. બે ગુજરાતી લેખકોમાં ડૉ.ભરત બારાઈ (અમેરિકા) અને મનોજ લાડવા છે (ઈંગ્લેંડ) ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ના સ્થાપક છે.

વીસ વર્ષના ઉબડખાબડ રાજકીય રસ્તે ગુજરાતી નાયક નરેંદ્ર મોદી કેવી રીતે, અનેક નિર્ણાયક વળાંકો સાથે ચાલતા રહ્યા તે લગભગ પૂરેપૂરું જાણવું હોય તેમણે આ પુસ્તકને વાંચવું જોઈએ. ‘લગભગ’ શબ્દ મારો પોતાનો છે, ‘માખણ પર નહીં, પત્થર પર લકીર કોતરનારા’ આ રાજપુરુષના નસીબે હજુ, ન જાણે કેવા-કેટલા મહાકાર્યો કરવાના બાકી હશે? તેમણે કોરોના દરમિયાન દુનિયાની સૌથી વધુ રસી ઉત્પાદનનો રસ્તો આપ્યો. 1947માં સરદારે સોમનાથનો જિર્ણોદ્ધાર કર્યો તેવું રામજન્મભૂમિ મંદિર મોદી-શાસન દરમિયાન રચાયું. 1947થી અલગાવનું કારણ બનેલી ધારા 370ને વિદાય આપી, ત્રણવાર ‘તલાક’થી પીડિત મુસ્લિમ મહિલાઓને તે કાનૂનથી મુક્તિ અપાવી, નવી શિક્ષણ નીતિની શરૂઆત કરી, સ્વચ્છતાના અભિગમ સાથે શૌચાલય યોજના જોડી, ‘ઉજ્જવલા’એ ગ્રામીણ મહિલાઓને ગેસની સગવડો આપી, પ્રત્યેક કિસાન માટેની આર્થિક યોજનાઓને આકાર મળ્યો, આર્થિક સુધારાના સાહસિક પગલા ભર્યા, આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મજબૂત લોકતંત્રના મજબૂત નેતા’ની છાપ ઊભી થઈ, અમેરિકા-રશિયા જેવા બે છેડાના રાષ્ટ્રો પણ ભારત પ્રત્યે સન્માન દાખવતા થયા.

અમીષ ત્રિપાઠીએ આધ્યાત્મિક આયોજનોની લાંબી યાદી આપી છે. ‘પ્રસાદ’ યોજના અંતર્ગત ચારધામ પ્રોજેક્ટ, વૈષ્ણોદેવી સુધીની રેલ સુવિધા, કાશી મહાકાલ એક્સપ્રેસથી વન્દે ભારત રેલવે, હિન્દુ, બૌદ્ધ, જૈન, યહૂદી, ઈસાઈ, સાંસ્કૃતિક સર્કીટ, ગુરુનાનકદેવના 500મા પ્રકાશપર્વ અને ગુરુગોવિંદ સિંઘના 350મા પ્રકાશપર્વ, આઝાદ હિન્દ ફોજનો લાલ કિલ્લા પરથી ઉત્સવ, સૂફી કોન્ફરન્સ, ભારતીય ઉત્સવોની ઉજવણી, આઈસીસીઆર દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસનું અભોજન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ, વૈશ્વિક સ્તરે ‘યોગદિવસ’ પૂર્વોત્તર ભારતના વિકાસનો રોડમેપ… આના વિશે પુસ્તકના લેખકોએ વિગતે વર્ણન કર્યું છે, એક મહત્વનો મુદ્દો આ નિષ્ણાતો કેમ ચૂકી ગયા હશે?

નરેન્દ્ર મોદી ‘ઈતિહાસ બોધ’ના માણસ છે અને આ વીસ વર્ષોની પાછળ તે પૂર્વભૂમિકા અને પરિબળ છે. પ્રજાકીય ચેતનાનું પહેલું નિરીક્ષણ અને સક્રિયતા તેમણે 1975-76ની આંતરિક કટોકટીથી ધરાશાયી થઈ રહેલા ભારતીય લોકતંત્ર દરમિયાન છેક ઊંડાણથી નિહાળી હતી, અનુભવી હતી. વીસ વર્ષના તેમના રાજકીય નકશાનો રંગ તે વર્ષોમાં ઉમેરાયો હતો.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

g clip-path="url(#clip0_868_265)">