ભાજપે જે કંપનીને આપ્યો હતો સાથ-સહકાર, તે કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપવાની પાડી દીધી ના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ આપવાની કરાયેલી અપીલ વચ્ચે જાણીતી આઈટી કંપની જોહો (Zoho) એ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ પોતાના અગાઉના વચનથી પાછળ હટીને ઘરેથી કામ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ભાજપે જે કંપનીને આપ્યો હતો સાથ-સહકાર, તે કંપનીએ વર્ક ફ્રોમ હોમ આપવાની પાડી દીધી ના
Image Credit source: TV9 Network
| Updated on: May 19, 2026 | 6:34 PM

દેશમાં ઇંધણની બચત કરવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંપનીઓને વર્ક ફ્રોમ હોમ (WFH) અને ઓનલાઈન મીટિંગ્સ વધારવાનું સૂચન કર્યું હતું, ત્યારે ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે સમયે 24,000 કર્મચારીઓ ધરાવતી ભારતની જાણીતી આઈટી કંપની ‘જોહો’ (Zoho) એ પણ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ હવે કંપનીએ પોતાના એ વચનથી યુ-ટર્ન લઈને કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. કંપનીના સ્થાપકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે વર્ક ફ્રોમ હોમ આપવા અંગે બિલકુલ વિચારી રહ્યા નથી.

આમને-સામને બેસીને કામ કરવાથી પ્રોડક્ટિવિટી વધે છે: શ્રીધર વેમ્બુ

જોહો કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ચોંકાવનારા નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે કંપનીમાં આ વિષય પર આંતરિક સ્તરે ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અંતે કંપની એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે કર્મચારીઓ જ્યારે ઓફિસે આવીને એકબીજાની સામે બેસીને કામ કરે છે, ત્યારે કામની ગુણવત્તા અને ઉત્પાદકતા (Productivity) ઘણી વધારે હોય છે. ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ટીમ માટે રિમોટ એરિયા એટલે કે ઘરેથી કામ કરવું એટલું અસરકારક સાબિત થતું નથી.

અનુભવના આધારે લેવાયો કડક નિર્ણય

પોતાનો વ્યક્તિગત અનુભવ શેર કરતા શ્રીધર વેમ્બુએ જણાવ્યું કે જ્યારે ડેવલપમેન્ટ ટીમ ઓફિસથી દૂર રહીને કામ કરે છે, ત્યારે ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ઘણી વાર લાગે છે. જ્યારે કોઈ મોટી સમસ્યા સામે આવે ત્યારે તેનો ઝડપી અને સચોટ ઉકેલ આમને-સામને બેસીને ચર્ચા કરવાથી જ મળી શકે છે. ઓફિસનું વાતાવરણ નવા આઈડિયાઝ લાવવામાં અને પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવામાં વધુ મદદરૂપ સાબિત થાય છે.

વર્ક ફ્રોમ હોમ નહીં, પણ ઇંધણ બચાવવા કંપની લાવશે નવો પ્લાન

કંપની ભલે કર્મચારીઓને ઘરેથી કામ આપવાના પક્ષમાં નથી, પરંતુ વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલને માન આપીને કંપની બીજા વૈકલ્પિક રસ્તાઓ અપનાવશે. શ્રીધર વેમ્બુએ જણાવ્યું છે કે:

  • કર્મચારીઓ માટે ઇલેક્ટ્રિક બસોની આખી ફ્લીટ (કાફલો) તૈયાર કરવામાં આવશે જેથી પ્રદૂષણ અને ઇંધણ બંને બચાવી શકાય.
  • કંપનીની કેન્ટીનમાં પણ ગેસ કે પરંપરાગત ઇંધણના બદલે ઇલેક્ટ્રિક કુકિંગ સિસ્ટમ લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
  • કંપની મોટા પાયે સોલર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અંગે પણ ગંભીરતાથી વિચારી રહી છે.

કોરોના કાળ પછી આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમ એક સામાન્ય બાબત બની ગઈ હતી, પરંતુ જોહો કંપનીનો આ નવો નિર્ણય દર્શાવે છે કે હવે મોટી કંપનીઓ ફરીથી ઓફિસ કલ્ચર તરફ પાછી વળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે જોહોના આ કડક નિર્ણય પછી દેશની અન્ય આઈટી કંપનીઓ વડાપ્રધાનની અપીલને સ્વીકારે છે કે પછી જોહોની જેમ જ ઓફિસથી કામ કરાવવાનો આગ્રહ રાખે છે.

સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ

Published On - 6:28 pm, Tue, 19 May 26

Follow Us