પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા ? રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ, તેલ કંપનીઓના કરોડોના નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયેલા વધારા પાછળ સામાન્ય જનતા પર બોજ વધારવાનો નહીં પરંતુ તેલ કંપનીઓને બચાવવાનો મોટો આર્થિક પ્લાન છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તાજા ‘ઇકોરેપ’ રિપોર્ટમાં આ આખી કહાનીના ચોંકાવનારા આંકડા જાહેર થયા છે.

પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા ? રિપોર્ટમાં સામે આવ્યું સૌથી મોટું કારણ, તેલ કંપનીઓના કરોડોના નુકસાનનો આંકડો જાણીને ચોંકી જશો
Image Credit source: AI
| Updated on: May 19, 2026 | 4:13 PM

તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા સુધીનો જે વધારો ઝીંકવામાં આવ્યો હતો જેના પછી આજ એટલે મંગળવાર (19-05-2026) ફરી પેટ્રોર-ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો કરી પ્રતિ લિટર 4 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, તેનાથી આમ આદમીનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ આ ભાવવધારો કેમ અનિવાર્ય હતો? તેનો જવાબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના તાજા સંશોધન અહેવાલમાં મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા હોવા છતાં દેશમાં લાંબા સમય સુધી કિંમતો સ્થિર રાખવામાં આવી હતી. આના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને દરરોજ આશરે 1,000 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું. વાર્ષિક ધોરણે આ આંકડો 3.6 લાખ કરોડ રૂપિયા જેવો મસમોટો થાય છે. આ તાજા ભાવવધારાથી કંપનીઓને ૫૨,700 કરોડ રૂપિયાની રાહત મળશે, જે તેમના અંદાજિત વાર્ષિક નુકસાનનો માત્ર 15 ટકા હિસ્સો છે.

મોંઘવારીનો ગ્રાફ થોડો ઉપર જશે

એસબીઆઈના અહેવાલ મુજબ, ઇંધણ મોંઘું થવાના કારણે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત દેશનો મોંઘવારી દર થોડો વધશે. મે-જૂન 2026 ના સમયગાળા દરમિયાન મોંઘવારી દરમાં 0.15% થી 0.20% સુધીનો ઉછાળો આવી શકે છે. આ જ કારણે નાણાકીય વર્ષ 2026-27 માટે દેશનો અંદાજિત મોંઘવારી દર વધારીને 4.7% કરવામાં આવ્યો છે. જોકે, ઇતિહાસ સાક્ષી છે કે ભાવ વધતાં શરૂઆતમાં લોકો ઇંધણનો વપરાશ ઘટાડે છે, પરંતુ થોડા જ સમયમાં તે ફરી સામાન્ય થઈ જાય છે.

સરકાર જો ટેક્સ ઘટાડે તો શું થાય? મોટું ગણિત

ઘણા લોકો એવી માંગ કરી રહ્યા છે કે સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ નાબૂદ કરીને જનતાને રાહત આપે. પરંતુ એસબીઆઈનો રિપોર્ટ જણાવે છે કે હાલમાં પેટ્રોલ પર 11.9% અને ડીઝલ પર 7.8% એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) લાગે છે. જો સરકાર આ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દે, તો સરકારી તિજોરીને 1.9 લાખ કરોડ રૂપિયાનું સીધું નુકસાન થાય. જો સરકાર પોતાના અન્ય ખર્ચાઓ પર કાપ ન મૂકે, તો દેશની રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) જીડીપીના 0.5% સુધી વધી જાય જે અર્થતંત્ર માટે જોખમી છે. માર્ચ મહિનામાં ટેક્સમાં કરાયેલા ઘટાડાના નુકસાનને ગણીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની કુલ ખાધ 3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

રાજ્ય સરકારોની કમાણી પર કેવી અસર પડશે?

કેન્દ્ર સરકારની આ નીતિઓની સીધી અસર રાજ્યોની આવક પર પણ પડે છે. એસબીઆઈના અંદાજ પ્રમાણે, જો કેન્દ્ર સરકાર પોતાની એક્સાઇઝ ડ્યુટી શૂન્ય કરે, તો રાજ્ય સરકારોને મળતી ટેક્સની રકમમાં 80,000 કરોડ રૂપિયાનો સીધો ફટકો પડશે. જોકે, તેલની કિંમતો વધવાને કારણે રાજ્યોને વેટ (VAT) દ્વારા આશરે 30,000 કરોડ રૂપિયાની વધારાની આવક પણ થશે. આ રીતે ગણતરી કરીએ તો પણ રાજ્યોને કુલ 50,000 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન સહન કરવું પડી શકે છે.

એસબીઆઈના આ અહેવાલથી સ્પષ્ટ થાય છે કે આ ભાવવધારો સામાન્ય જનતા માટે ભલે આકરો હોય, પરંતુ દેશની તેલ કંપનીઓને નાદાર થતી બચાવવા અને સરકારી તિજોરીને મોટા આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આ કડવો ઘૂંટડો પીવો અનિવાર્ય હતો. હવે જોવાનું એ રહેશે કે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવો સ્થિર થાય છે કે આગામી દિવસોમાં હજુ વધુ આંચકા જોવા મળે છે.

ખરીદતા પહેલા જાણી લો, ઘરની મજબૂત સુરક્ષા માટે કઈ જગ્યાએ કયા સીસીટીવી કેમેરા લગાવવો જોઈએ?

Follow Us