
ભારતમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશની વસ્તી, રહેઠાણ, શિક્ષણ, રોજગાર સહિતની વિવિધ માહિતી એકત્ર કરવા માટે સરકાર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીનો ડેટા દેશના આયોજન અને નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં નાગરિકો પાસેથી સાચી અને પોતાની જાણકારી મુજબની માહિતી મેળવવા માટે કાયદામાં કેટલીક જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
વસ્તી ગણતરી અધિનિયમ, 1948ની કલમ 8 મુજબ, વસ્તી ગણતરી અધિકારી દ્વારા કાયદેસર રીતે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ વ્યક્તિએ પોતાની જાણકારી અને માન્યતા મુજબ આપવા પડે છે. જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો જવાબ આપે અથવા જવાબ આપવાનો ઇનકાર કરે, તો તે કલમ 11 હેઠળ દંડને પાત્ર બની શકે છે. કાયદા મુજબ આવા ગુના માટે રૂ. 1,000 સુધીનો દંડ થઈ શકે છે.
અહીં એક મહત્વની બાબત એ છે કે કલમ 11માં ખોટો જવાબ આપનાર વ્યક્તિ માટે દંડની જોગવાઈ છે, જ્યારે ત્રણ વર્ષ સુધીની કેદની જોગવાઈ કલમ 11(1)(a), (b) અને (c) હેઠળના ચોક્કસ ગુનાઓ માટે છે. તેથી ખોટો જવાબ આપનાર દરેક વ્યક્તિને સીધી રીતે ત્રણ વર્ષની જેલ થઈ શકે છે એવું કહેવું યોગ્ય નથી. પરંતુ તે પ્રકારની સજા થઈ શકે છે.
કાયદો કેટલીક વિશેષ પરિસ્થિતિમાં છૂટ પણ આપે છે. કલમ 8 મુજબ કોઈ મહિલાને તેના પતિ, મૃત પતિ અથવા એવી વ્યક્તિનું નામ જણાવવા માટે ફરજ પાડી શકાતી નથી જેનું નામ સ્થાનિક રિવાજ કે પરંપરા મુજબ લેવાની મનાઈ હોય.
વસ્તી ગણતરી અંગે લોકોમાં વ્યક્તિગત માહિતીના દુરુપયોગને લઈને ઘણીવાર ચિંતા જોવા મળે છે. વસ્તી ગણતરી અધિનિયમની કલમ 15 હેઠળ વસ્તી ગણતરી અધિકારી દ્વારા તૈયાર કરાયેલા રેકોર્ડ, રજિસ્ટર, બુક અથવા ભરવામાં આવેલી શેડ્યૂલની સામાન્ય રીતે તપાસ કરવાનો અધિકાર કોઈ વ્યક્તિને નથી. આ રેકોર્ડની એન્ટ્રીને મોટાભાગની સિવિલ કાર્યવાહી અથવા અન્ય ફોજદારી કાર્યવાહીમાં પુરાવા તરીકે સ્વીકારવામાં પણ પ્રતિબંધ છે, જોકે વસ્તી ગણતરી કાયદા અથવા તેના હેઠળના ગુનાને લગતી કાર્યવાહી માટે અપવાદ છે.
વસ્તી ગણતરીના આંકડા દેશની વસ્તી અને તેના વિવિધ સામાજિક-આર્થિક પાસાં સમજવા માટે મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. સરકાર અને નીતિ-નિર્માતાઓને શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, માળખાકીય સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં આયોજન કરવા માટે આંકડાકીય માહિતીની જરૂર પડે છે.
એટલે વસ્તી ગણતરી દરમિયાન અધિકારી દ્વારા પૂછવામાં આવેલી કાયદેસર માહિતીનો જાણીજોઈને ખોટો જવાબ આપવાને બદલે પોતાની જાણકારી મુજબ સાચી માહિતી આપવી મહત્વપૂર્ણ છે. વસ્તી ગણતરી અધિનિયમમાં ખોટી માહિતી અને જવાબ આપવાનો ઇનકાર જેવી બાબતો માટે સ્પષ્ટ દંડની જોગવાઈ કરવામાં આવી છે.