પૂર્વ ભારતના આદિવાસીઓ (Tribes) દ્વારા ફ્લૂ જેવા રોગોની સારવાર માટે પરંપરાગત રીતે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી લાલ કીડીની ચટણી Coronaની દવા બની શકે તેમ છે કે કેમ તે ચકાસવા ઓરિસ્સા હાઇકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય તથા કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ (ICMR) ને આદેશ આપવામાં આવ્યો છે. આ બાબતે 3 મહિનામાં તપાસ કરી અહેવાલ આપવામાં જણાવ્યું છે. હાઇકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી થઈ હતી. તે સંદર્ભમાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે.
કોરોના વાઇરસની સામે દેશ અને દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગેલા છે. જોકે, કેટલાક દેશો રસી શોધવામાં સફળ થાય છે, પરંતુ હજુ 100% કોરોના વાઇરસની સારવારની ગેરંટી આપતી કોઈ દવા કે રસી શોધી હોવાનો દાવો કરી શકાય તેમ નથી. આ દરમિયાન પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા આરોગવામાં આવતી લાલ કિડીની ચટણી કદાચ કોરોના સામે કારગત દવા બની શકે તેમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઓરિસ્સા અને છત્તીસગઢ સહિત કેટલાય રાજ્યોમાં આદિવાસી લોકો (Tribal) લાલ કિડીની ચટણીનું સામાન્ય ભોજન ઉપરાંત એક ઔષધ તરીકે પણ સેવન કરે છે.
આ ચટણીનો ઉપયોગ સૂપ તરીકે તાવ, ખાંસી, સામાન્ય શરદી, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને અન્ય બીમારીથી છુટકારો મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ચટણી મુખ્ય રીતે લાલ કીડી અને લાલ મરચાના મિશ્રણથી બને છે. આ ચટણીમાં ઔષધિક ગુણ હોય છે, એમાં ઉપસ્થિત બેકટીરિયલ ગુણ પાચન તંત્રમાં કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. આ સિવાય ચટણીમાં આયરન, ફોરમીક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ અને જિંક હોય છે, જે માનવ શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે.
બારીપાડાના એક ઍન્જિનિયર નયાધાર પઢિયાલે ઓરિસ્સા હાઇકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી. અરજી સંદર્ભમાં જસ્ટિસ બી. આર. સારંગી તથા જસ્ટિસ પરમાર્થ પટનાઇકની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે કોર્ટ આ કેસના મેરીટ અંગે કોઈ અભિપ્રાય આપ્યા વિના આયુષ મંત્રાલયના મહાનિર્દેશકને તથા CSIRના મહાનિર્દેશકને અરજીમાં થયેલી રજૂઆતો ધ્યાને લઈ 3 મહિનામાં યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો છે.