
પશ્ચિમ બંગાળમાં આગામી થોડા કલાકોમાં એક નોંધપાત્ર બંધારણીય સંકટ તરફ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે, છતાં તેમણે બે વાર રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. પશ્ચિમ બંગાળની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ આજે 7 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. જો મમતા બેનર્જી આજે મધ્યરાત્રિ સુધીમાં રાજીનામું નહીં આપે, તો મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઊભો થાય છે. 8 મેના રોજ મધ્યરાત્રિથી રાજ્યમાં નવી સરકાર રચાય ત્યાં સુધી પશ્ચિમ બંગાળની બાગડોર કોણ સંભાળશે? પશ્ચિમ બંગાળમાં કોણ શાસન કરશે?
ભાજપે એલાન કર્યુ છે કે તેમના નવા મુખ્યમંત્રી 9 મેના રોજ શપથ લેશે. આવી સ્થિતિમાં, બંગાળમાં શું થશે? 8 મેથી 9 મે સુધીના સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળની બંધારણીય સ્થિતિ શું હશે?
બંગાળના વર્તમાન રાજકીય પરિદૃશ્ય વચ્ચે, આ પ્રશ્ન એક મહત્વપૂર્ણ મુદ્દો બનીને ઉભરી આવ્યો છે.
બંધારણની કલમ 172 રાજ્ય વિધાનસભાઓ માટે પાંચ વર્ષનો સામાન્ય કાર્યકાળ નક્કી કરે છે. આ સમયગાળો વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખથી ગણવામાં આવે છે. આ પાંચ વર્ષ પૂર્ણ થતા જ, વિધાનસભા આપમેળે જ ભંગ (automatic dissolution) થઈ જાય છે. આ માટે કોઈ ચોક્કસ આદેશની જરૂર નથી. પરિણામે, ગુરુવારે (7 મે) મધ્યરાત્રિએ ઘડિયાળમાં 12 વાગતા જ વિધાનસભા આપમેળે ભંગ થઈ જશે. આ સાથે જ, મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોનો સત્તાવાર દરજ્જો સમાપ્ત થઈ જશે, અને તેમની વૈધાનિક સત્તાનો અંત આવશે.
બંધારણના અનુચ્છેદ 164 માં જણાવાયું છે કે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ રાજ્યપાલના સંમતિ બાદ જ કાર્યભાર સંભાળે છે. ચૂંટણીમાં હાર અને તેના પરિણામે વિધાનસભામાં બહુમતી ગુમાવવાની સ્થિતિમાં, રાજ્યપાલને વર્તમાન સરકારને બરતરફ કરવાની અને બહુમતી પક્ષના નેતાને નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાની સત્તા છે.
જો સત્તા ગુમાવનાર CM, સત્તા ગુમાવ્યા પછી, રાજીનામું ન આપે, તો રાજ્યપાલ પાસે તે મંત્રી પરિષદને બરતરફ કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલનું અવલોકન છે કે, “મમતાએ રાજીનામું આપ્યું ન હોવાથી, તેમનો કાર્યકાળ 7 મેના રોજ આપમેળે સમાપ્ત થઈ જશે.”
રાજ્યપાલે હવે નક્કી કરવું પડશે કે શું તેઓ એ સ્થાપિત પરંપરાનું પાલન કરશે કે જેના હેઠળ તેઓ મમતાને નવા મુખ્યમંત્રી શપથ લે ત્યાં સુધી પદ સંભાળવાનું ચાલુ રાખવાનું કહી શકે?
પૂર્વ જજ સંજય કિશન કૌલ જણાવે છે કે રાજ્યપાલ એક દિવસ માટે નવી સરકાર 9મી તારીખે શપથ લે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા કરવાનું પસંદ કરી શકે છે. આ એક અભૂતપૂર્વ પરિસ્થિતિ છે; આ પ્રકારની પરિસ્થિતિ પહેલા ક્યારેય બની નથી. જોકે, અહેવાલો સૂચવે છે કે યથાસ્થિતિ જ જાળવી રાખવામાં આવશે.
ECI એ કેન્દ્રીય દળો તૈનાત કર્યા છે, અને રાજ્યપાલે એક આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ફાઇલો પ્રક્રિયા માટે આગળ કરવામાં આવશે નહીં.
કાયદેસર રીતે, આ અંગે કોઈ ઉદાહરણ નથી; જોકે, રાજ્યપાલ પાસે વચગાળાની વ્યવસ્થા કરવાનો અધિકાર છે. આજ સુધી સ્થાપિત પરંપરા એ રહી છે કે રાજ્યપાલ વર્તમાન મુખ્યમંત્રીને તેમના અનુગામી શપથ લે ત્યાં સુધી પદ પર રહેવા કહે છે.
ચૂંટણી પંચ અનુસાર, વર્તમાન બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 8 મે, 2021 ના રોજ શરૂ થયો હતો અને 7 મે ના રોજ સમાપ્ત થવાનો છે. આ પછી, રાજ્યપાલે નવી વિધાનસભાની રચના માટેની પ્રક્રિયા શરૂ કરવી પડશે, જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લે અને નવી સરકાર પસંદ કરે.
જો મમતા બેનર્જી ખરેખર તેમના નિર્ણય પર અડગ રહે અને મડાગાંઠ સર્જાય, તો તે એક અભૂતપૂર્વ ઘટના બનશે.
5 મે, 2026 ના રોજ કોલકાતામાં એક પત્રકાર પરિષદમાં બોલતા, મમતા બેનર્જીએ જાહેર કર્યું કે તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું, “રાજીનામુ આપવાનો સવાલ જ નથી, હું હારી નથી, હું રાજીનામું નહીં આપુ. હું રાજભવન નહીં જાઉં.”
મમતાએ ભારપૂર્વક કહ્યું, “અમે ચૂંટણી હાર્યા નથી; અમને હરાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચને હાથો બનાવીને તેઓ અમને હરાવી શકે છે પરંતુ નૈતિક રીતે તો અમે જ ચૂંટણી જીત્યા છીએ.”