પીડિતોની માફી માંગવા અમારી પાસે શબ્દો નથી, 26 વર્ષમાં પહેલીવાર કાશ્મીરીઓ આતંકવાદી સામે ખુલ્લેઆમ બહાર આવ્યા: ઓમર અબ્દુલ્લા

પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ, જમ્મુ કાશ્મીર વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં ઓમર અબ્દુલ્લા ભાવુક થયા હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું, અમે પ્રવાસીઓને અહીં આવવા આમંત્રણ આપ્યું હતું, હું મૃતકોના પરિવારોની કયા શબ્દોમાં માફી માગું. માફી માંગવા માટે અમારી પાસે શબ્દો નથી. અમે આ લોકોને જમ્મુ અને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમને સહી સલામત પાછા મોકલી શક્યા નહીં.

પીડિતોની માફી માંગવા અમારી પાસે શબ્દો નથી, 26 વર્ષમાં પહેલીવાર કાશ્મીરીઓ આતંકવાદી સામે ખુલ્લેઆમ બહાર આવ્યા: ઓમર અબ્દુલ્લા
| Edited By: | Updated on: Apr 28, 2025 | 5:05 PM

પહેલગામના બૈસરન ખાતે ગત 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાએ, સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરવા માટે જમ્મુ કાશ્મીર વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્ર યોજાયું હતું. પહેલગામ આતંકી હુમલાને લઈને રજૂ કરાયેલા પ્રસ્તાવ પર બોલતા, ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા.

તેમણે કહ્યું કે આ હુમલાએ આપણને અંદરથી હચમચાવી નાખ્યાં છે. આખો દેશ આ હુમલાની ઝપેટમાં આવી ગયો. કોઈએ પોતાના પિતા ગુમાવ્યા, કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો. કોઈએ તેના પતિને ગુમાવ્યો. બધા લોહીથી લથબથ હતા. હું શું જવાબ આપું? ઉમરે કહ્યું કે મેં પ્રવાસીઓને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમને સહી સલામત પાછા મોકલી શક્યો નહીં. મારી પાસે માફી માંગવા માટે શબ્દો નથી.

પહેલગામ આતંકવાદી હુમલા સામે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગૃહમાં ઉભા થયા અને હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના નામ લીધા અને કહ્યું કે આ હુમલો કાશ્મીર પર નહીં પરંતુ દેશ પર છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, અરુણાચલથી ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને તેની વચ્ચેના તમામ રાજ્યો, આખો દેશ આ હુમલાથી પ્રભાવિત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આ પહેલો હુમલો નથી, પરંતુ 21 વર્ષ પછી અહીં આટલો મોટો હુમલો થયો છે.

પ્રવાસીઓને બોલાવ્યા ખરા, પણ સલામત પાછા મોકલી ના શક્યા

સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે પ્રવાસીઓને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું, હું મૃતકોના પરિવારોની માફી માંગવા માટે શું કહું. માફી માંગવા માટે આપણી પાસે શબ્દો નથી. હું કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળતો નથી, પરંતુ પર્યટન મંત્રી તરીકે, મેં આ લોકોને જમ્મુ અને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમને પાછા મોકલી શક્યો નહીં. કેટલાક લોકો આવ્યા અને મને પૂછ્યું કે અમારો વાંક શું છે, અમે અહીં રજાઓ ઉજવવા આવ્યા હતા પણ હવે આ પહેલગામ હુમલાનું પરિણામ અમારે જીવનભર ભોગવવું પડશે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મેં પ્રવાસીઓને કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું. તેમના યજમાન તરીકે, સંભાળ રાખવાની અને તેમનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે. પ્રવાસીઓની માફી માંગવા માટે મારી પાસે શબ્દો નથી.

કયા શબ્દોમાં માફિ માગું

તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ લગ્ન કરનારા નૌકાદળના અધિકારીની વિધવાને હું શું કહું ? તેમને સાંત્વના આપવા માટે મારી પાસે શબ્દો નથી. પીડિતોના પરિવારના ઘણા સભ્યોએ મને પૂછ્યું કે, તેમનો ગુનો શું છે ? મારી પાસે કોઈ જવાબ નહોતો. તેમને સુરક્ષિત રીતે પાછા મોકલવાની જવાબદારી આપણી હતી. હું તેવા બાળકો અને પત્નીઓને સાંત્વના આપી શક્યો નહીં. આ આતંકી હુમલાએ આપણને અંદરથી હચમચાવી નાખ્યાં છે.

26 વર્ષમાં પહેલીવાર લોકો બહાર આવ્યા

સીએમ ઓમરે કહ્યું કે 26 વર્ષમાં પહેલી વાર મેં જમ્મુ કાશ્મીરમાં લોકોને આતંકવાદ સામે ઉશ્કેરાટ સાથે બહાર આવતા જોયા. ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જે આતંકના વિરોધમાં બહાર આવ્યું નહીં હોય. કોઈ કાશ્મીરી આતંકની સાથે નથી.

કઠુઆથી શ્રીનગર સુધીના લોકો બહાર આવ્યા અને ખુલ્લેઆમ કહ્યું કે કાશ્મીરીઓ આ હુમલાઓ ઇચ્છતા નથી. મારા નામે નહીં… દરેક કાશ્મીરી આ કહી રહ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પહેલગામના 26 લોકોના દુ:ખને આ દેશની સંસદ કે અન્ય કોઈ વિધાનસભા એટલી સારી રીતે સમજી શકતી નથી જેટલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સમજી શકે છે.

કાશ્મીરની મસ્જિદમાં પળાયું મૌન, આ પરિવર્તનની હવા

સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કાશ્મીરની મસ્જિદોમાં મૌન પાળવામાં આવ્યું હતું, અમે આ મૌનનો અર્થ જાણીએ છીએ. આ કાશ્મીરમાં આતંકવાદના અંતની શરૂઆત છે.

આતંકની સામે લોકો સ્વંયભૂ રોડ પર ઊતર્યાં

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકો પોતે વિરોધ કરવા માટે બહાર આવ્યા, બેનરો અને પોસ્ટરો સાથે આતંકની વિરુદ્ધ પ્રદર્શન થયું, સૂત્રોચ્ચાર કર્યા. જો લોકો આપણી સાથે હોય, તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. આ તો આંતકવાદના વિરોધની હજુ શરૂઆત છે. આપણે બંદૂકો દ્વારા આતંકવાદને ખતમ કરી શકતા નથી, પરંતુ આપણે તેને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. લોકો સમજી ગયા છે કે આતંકવાદ સારો નથી.

આપણે બંદૂકોની તાકાતથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ. જો લોકો આપણી સાથે હોય તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. મને લાગે છે કે લોકો હવે આપણી સાથે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, કાશ્મીરની મસ્જિદોમાં પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવ્યું હતું. આ ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ વાત છે. કાશ્મીરના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ કાશ્મીરીયત છે અને આ આપણી મહેમાનગતિ છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Published On - 4:23 pm, Mon, 28 April 25