
દહેરાદૂન સમાચાર: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના સહસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બૈરાગીવાલા ગામમાં એક યુવાનની ક્રૂર હત્યા કરાઈ હતી. આ બાદ સમગ્ર વિસ્તારમાં કોમી વૈમનસ્ય પ્રવર્તે છે. સેંન્ટરીગના સાધનોના ભાડા અને સરકારી ટ્યુબવેલમાંથી પાણીના ઉપયોગ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે વિનોદને હથોડા અને તીક્ષ્ણ હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. બેકાબૂ બનેલ ભીડે અનેક મકાનોને નિશાન બનાવ્યા હતા. જો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, મૃતક વિનોદ, રાજેશ અને અશોકને ગામના પૂર્વ સરપંચ ઇસ્તિફાકના ભત્રીજા ઇમ્તિયાઝ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ, રઝાક, અમન, યુનુસ અને અનીસ સહિત 20 થી 25 લોકોના ટોળાએ કથિત રીતે તીક્ષ્ણ હથિયારો અને હથોડાનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિનોદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકો હાલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના અંગે વિનોદના પિતાએ કડક વલણ અપનાવતા, એવી જાહેરાત કરી કે, જ્યા સુધી આરોપીઓના એન્કાઉન્ટર કરવામાં ના આવે અને તેમના ઘર પર બુલ ડોઝર ફેરવવામાં ના આવે ત્યાં સુધી તેમના પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.
દહેરાદુનમાં હિન્દુ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા બૈરાગીવાલામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગ્રામજનોએ પોલીસ વહીવટીતંત્ર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો, આરોપ લગાવ્યો કે આરોપીઓ ઘટના પછી પણ મુક્તપણે હરતા ફરતા હતા. દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ ભારે પથ્થરમારો કરીને અન્ય સમુદાયના ઘરોને નિશાન બનાવ્યા હતા.
આ અથડામણ બાદ ગામમાં કોમી વૈમનસ્ય ફેલાવું છે. એવો આરોપ છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા આરોપીઓના ઘરો પર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ અનેક ઘરોને આગ લગાડી દીધી. જો કે સમગ્ર વિસ્તારમાં ભારે માત્રામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે, અને પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે તમામ બાબતો ઉપર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
#WATCH | Dehradun, Uttarakhand: The residence of the accused who allegedly killed one person in Bairagiwala, Sahaspur after a violent clash erupted between two communities over a water dispute late tonight, is being demolished in the presence of police and administration.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 14, 2026
ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દેવાનો પણ પ્રયાસ કર્યો. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને બેકાબૂ ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે, અને સુરક્ષા એજન્સીઓ, સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ ઘટનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓ અને 25 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
Published On - 12:45 pm, Sun, 14 June 26