નૌસેનાની આન બાન અને શાન રહેલા INS વિરાટને હાલમાં જ મુંબઇની એક શિપબ્રેક કંપની શ્રી રામ ગ્રૃપે હરાજી દરમિયાન સાડા 38 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતુ. ત્યાર બાદ તેને ગુજરાતના અલંગમાં સ્થિત શિપબ્રેકિંગ યાર્ડમાં લાવવામાં આવ્યુ આ યુદ્ધ જહાજની હરાજીના સમયથી જ એ માંગ થઇ રહી હતી કે તેને તોડવાને બદલે મ્યૂઝિયમ અથવા વૉર મેમોરિયલમાં ફેરવાવામાં આવે. પરંતુ ડિસેમ્બર મહિનાથી તેની સ્ક્રેપિંગ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં શરૂ થઇ ગઇ હતી.
28,700 ટન વજન ધરાવતા આ જહાજને કાપવા માટે બસોથી વધુ મજૂરોની જરૂર પડી છે, શ્રી રામ ગ્રૃપના ચેરમેન મુકેશ પટેલે ટીવી9 ભારતવર્ષ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આશ્ચર્યચકિત કરનાર છે કારણકે હમણા જે અવસ્થામાં આ શીપ છે તેને મ્યૂઝિયમમાં ફેરવવુ મુશ્કેલ છે સાથે જ આ શિપનો 40 થી 50 ટકા ભાગ કાપી નાંખવામાં આવ્યો છે. છેલ્લા બે અઢી મહિનાથી મજૂરો તેને તોડવામાં લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમને ભારે નુક્શાન થઇ રહ્યુ છે કારણકે શીપને કાપવાનું કામ વચ્ચે અટકી ગયુ છે
તમને જણાવી દઇએ કે શ્રી રામ ગ્રૂપ દ્વારા આ યુદ્ધ જહાજની ખરીદી કરવામાં આવી ત્યારથી જ સતત તેને સંગ્રહાલયમાં ફેરવવાની માંગ ઉઠી રહી છે. મુંબઇ સ્થિત એક કંપનીએ આ શિપને શ્રીરામ ગ્રૂપ પાસેથી 100 કરોડમાં ખરીદવાનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, પરંતુ સમયસર પેપરવર્કના અભાવને લીધે તેને કાપવામાંથી રોકી ન શકાયુ. આઈએનએસ વિરાટને તોડવાનું કામ બે મહિના પહેલા ગુજરાતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે શરૂ થયું હતું, અત્યાર સુધી તેનો મોટો ભાગ કાપવામાં આવ્યો છે પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે આના પર સ્ટે મુક્યો છે અને હવે પછીના અપડેટ સુધી તેને તોડવામાં નહી આવે.