
બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક ટિપ્પણી તેમને ભારે પડી ગઈ છે. ગુજરાતના સુરતની એક અદાલતે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલામાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી ગુનો (ક્રિમિનલ કેસ) દાખલ કરવાનો પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે. કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરવામાં આવેલી આ પોસ્ટ અંગે દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ પર સુનાવણી કર્યા બાદ આ મોટો નિર્ણય લીધો છે.
સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતે વકીલ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા કમલેશ રાવલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને આંશિક રીતે સ્વીકારી હતી. કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ સ્વીકાર્યું છે કે આરોપીની સોશિયલ મીડિયા પોસ્ટ એવા હેતુથી વાયરલ કરવામાં આવી હતી જેનાથી એક ચોક્કસ સમુદાયની બદનામી થાય અને સમાજમાં વૈમનસ્ય કે તણાવ ફેલાય. આથી અદાલતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની નીચે મુજબની કલમો હેઠળ કેસ નોંધવા જણાવ્યું છે:
ફરિયાદકર્તા કમલેશ રાવલનો આરોપ છે કે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિશે વાંધાજનક લખાણ લખ્યું હતું, જેનાથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે. આ વિવાદની શરૂઆત ગયા વર્ષે 16 એપ્રિલના રોજ થઈ હતી, જ્યારે ‘ફુલે’ ફિલ્મના ટ્રેલરને લઈને ઓલ ઈન્ડિયા બ્રાહ્મણ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના જવાબમાં અનુરાગ કશ્યપે કથિત રીતે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, વિરોધ કરી રહેલા યુઝર્સને આપેલા જવાબો પણ અત્યંત આપત્તિજનક હતા. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે અનુરાગ કશ્યપ પહેલા પણ હિન્દુ સમુદાયને લઈને આવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.
આ કેસની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે સુરત કોર્ટ દ્વારા અગાઉ અનુરાગ કશ્યપને અનેક વખત સમન્સ પાઠવીને હાજર થવા જણાવાયું હતું. પરંતુ તેઓ કોર્ટ સમક્ષ હાજર ન થતાં અદાલતે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) પણ કાઢ્યું હતું. હવે કોર્ટના સખત આદેશ બાદ સુરત પોલીસ આ મામલે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહીમાં જોડાઈ ગઈ છે.
અભિવ્યક્તિની આઝાદીના નામે સોશિયલ મીડિયા પર કોઈપણ જ્ઞાતિ કે સમુદાય વિરુદ્ધ કરાતી ટિપ્પણીઓ હવે કાયદાકીય સકંજામાં આવી રહી છે. સુરત કોર્ટનો આ આદેશ સેલિબ્રિટીઝ માટે એક મોટો પાઠ છે કે સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવું કેટલું જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ કેટલી વધે છે.