મમતા બેનર્જીને આંચકો, સુપ્રિમ કોર્ટનો વન નેશન-વન રેશન કાર્ડ યોજના લાગુ કરવા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ
સુપ્રીમ કોર્ટે(Supreme Court)પશ્ચિમ બંગાળ સરકારને કોઈ પણ બહાનું બતાવ્યા વિના તાત્કાલિક ધોરણે વન નેશન -વન રેશનકાર્ડ (one Nation One Ration Card) ની સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે(Supreme Court)પશ્ચિમ બંગાળ સરકારને કોઈ પણ બહાનું બતાવ્યા વિના તાત્કાલિક ધોરણે વન નેશન -વન રેશનકાર્ડ (one Nation One Ration Card) ની સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે તમે એક અથવા બીજી સમસ્યાનો હવાલો આપી શકો નહિ. આ યોજના સ્થળાંતર કરતા કામદારો માટે છે.
ગેરસંગઠિત મજૂરોને નોંધણી પ્રક્રિયામાં મુશ્કેલી આવી હતી
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોની ઊભી થયેલી સમસ્યાઓ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન, ગેરસંગઠિત મજૂરોને નોંધણી પ્રક્રિયામાં મુશ્કેલી આવી હતી. જેમાં નોંધણી પછી જ કામદારો વિવિધ સરકારો દ્વારા ચલાવવામાં આવતી લાભકારી યોજનાઓનો લાભ લઈ શકશે. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય હમણાં માટે અનામત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે મમતા સરકારને તાત્કાલિક તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો
આ અગાઉ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના અમલ નહિ કરવાની વાત કરી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને તાત્કાલિક તેનો અમલ કરવા નિર્દેશ આપ્યો છે. ‘વન નેશન-વન રેશનકાર્ડ’ યોજના અંગે કેન્દ્ર સરકારની દલીલ એવી રહી છે કે આ યોજના અંતર્ગત દેશભરના પીડીએસ ધારકો દેશના કોઈપણ ખૂણામાં જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનોમાંથી તેમના રેશનનો જથ્થો મેળવી શકશે.
સરકારનું કહેવું છે કે આ લોકો નોકરી અથવા અન્ય કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો પણ સબસિડીવાળા રેશનથી વંચિત રહેશે નહીં.
દસ લાખ સ્થળાંતર કરતા કામદારો તેનો તાત્કાલિક લાભ મળી શકે
તાજેતરમાં જ ‘ઘર ઘર રેશન યોજના’ અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને તાત્કાલિક ‘વન નેશન – વન રેશનકાર્ડ’ યોજના લાગુ કરવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલયે દિલ્હી સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ યોજના તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવે જેથી દિલ્હીના ઓછામાં ઓછા દસ લાખ સ્થળાંતર કરતા કામદારો તેનો તાત્કાલિક લાભ મળી શકે.