DELHI : સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં વિનંતી કરવામાં આવી હતી કે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covaxin) ક્લિનિકલ ટ્રાયલના તમામ તબક્કાઓ સમાપ્ત થાય ત્યાં સુધી સામૂહિક કોવિડ-19 રસીકરણ બંધ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે તે લોકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને તેના પર કોઈ પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ.
જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ બીવી નાગરથનાની ખંડપીઠે કર્ણાટક હાઇકોર્ટના 26 મેના આદેશને પડકારતી એક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેમાં ભૂતપૂર્વ સૈનિક મેથ્યુ થોમસની અરજી ફગાવી દેવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટે યોગ્ય રીતે અરજી ફગાવી દીધી છે. રસીકરણ અભિયાન પર શંકાઓ ન ઉભી કરો. લોકોની સલામતી માટે આ મહત્વપૂર્ણ છે. અમે આ અરજી પર બિલકુલ દલીલો નથી ઈચ્છતા.
કોરોના મહામારી દરમિયાન દેશ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થયો
ખંડપીઠે વધુમાં કહ્યું કે દેશ મહામારી દરમિયાન અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાંથી પસાર થયો છે અને ભારત એકમાત્ર એવો દેશ નથી જ્યાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ખંડપીઠે આદેશમાં કહ્યું કે અમે ભારતના બંધારણની કલમ 136 હેઠળ વિશેષ રજાની અરજી સ્વીકારવા માટેનું વલણ ધરાવતા નથી અને તેથી વિશેષ મંજુરીની અરજી ફગાવી દેવામાં આવે છે.
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે તેમની દલીલોમાં જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ વિના સામૂહિક રસીકરણને મંજૂરી આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે અને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી હાનિકારક અને ગેરકાયદેસર છે. 26 મેના રોજ, હાઇકોર્ટે થોમસ અને અન્ય બે દ્વારા દાખલ કરવામાં આવેલી PILને ફગાવી દીધી હતી અને અરજદારોને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જે એક મહિનાની અંદર ચૂકવવો પડશે.
દેશમાં આજે કોવિડ -19 ના 14,306 નવા કેસ સામે આવ્યા
બીજી તરફ, દેશમાં આજે કોવિડ-19ના 14,306 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 443 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.67 લાખ પર આવી ગયા છે. મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 18,762 લોકો સંક્રમણથી મુક્ત થઇ સાજા પણ થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,35,67,367 થઈ ગઈ છે.
દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હાલમાં 1,67,695 છે, જે કુલ કેસના 0.49 ટકા છે. સક્રિય કેસનો આ આંકડો 239 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝીટીવીટી દર 1.43 ટકા છે, જે છેલ્લા 21 દિવસથી 2 ટકાથી ઓછો છે જ્યારે સાપ્તાહિક પોઝીટીવીટી દર 1.24 ટકા છે, જે 31 દિવસથી 2 ટકાથી નીચે રહ્યો છે. દેશમાં રિકવરી રેટ હવે 98.18 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 102.27 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.