ખેડૂત આંદોલનને લગતી toolkit કેસમાં 21 વર્ષીય DISHA RAVIની ધરપકડના કેસમાં કેન્દ્રીય ગૃહપ્રધાન AMIT SHAHનું નિવેદન સામે આવ્યું છે. ગૃહપ્રધાન અમિત શાહે આ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે કોઈ પણ ગુનેગારની ઉંમર ન જોવી જોઈએ. ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાની કનેક્શનથી લઈને toolkit સાથે જોડાયેલા મુદ્દા પર તપાસ અંગેના સવાલનો જવાબ આપતા અમિત શાહે આ નિવેદન આપ્યું છે.
ગુનેગારની ઉમર અને હોદ્દો ન જોવા જોઈએ
અમિત શાહે કહ્યું હતું કે હું આ કેસની યોગ્યતા પર નથી જતો. પોલીસ જાતે જ કાર્યવાહી કરી રહી છે. જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે, તો તેની ઉંમર અથવા વ્યવસાય પૂછવું જોઈએ? આવું કરવું ખોટું છે. DELHI POLICE આ મામલે પૂરી જવાબદારી અને પ્રોફેશનલ રીતે કામ કરી રહી છે.અમિત શાહે આ સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે “જો કાલે કોઈ મોટો ગુનો કરે છે, તો શું એમ કહેવામાં આવશે કે ખેડૂતો, પ્રોફેસરો અને નેતાઓ સામે કેમ ગુનો દાખલ કરવામાં આવે છે?”
ગુનામાં જાતિ-વ્યવસાય જોવાની નવી ફેશન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ગુનામાં જાતિ-વ્યવસાય જોવાની નવી ફેશન ચાલુ થઈ છે. પણ જાતિ, વ્યવસાય અને ઉંમરના આધારે ગુના નોંધવામાં આવશે નહીં. 21 વર્ષની આસપાસ ઘણા લોકો છે, પરંતુ DISHA RAVIની ધરપકડ કેમ કરવામાં આવી છે? એનો જવાબ છે દિલ્હી પોલીસ પ્રોફેશનલ રીતે કાર્ય કરી રહી છે. એમણે કહ્યું કે જો કોઈ પ્રોફેશનલ રીતે કામ થઈ રહ્યું હોય તો તેના પર સવાલો ન કરવા જોઈએ. જો કોઈને એવું લાગે કે એફઆઈઆર ખોટી છે તો કોર્ટના દરવાજા ખખડાવવા જોઈએ.