Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે

ઝારખંડના ચતરા જિલ્લામાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ. સિમરિયાના ગાઢ જંગલમાં ક્રેશ થયેલા વિમાનમાં ગંભીર રીતે દાઝેલા દર્દી સંજય સાઓ, તેમની પત્ની, ભત્રીજા સહિત કુલ સાત લોકોના કરૂણ મોત થયા.

Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે
| Updated on: Feb 24, 2026 | 1:37 AM

ઝારખંડમાં સોમવારે સાંજે એક દુખદ એર એમ્બ્યુલન્સ દુર્ઘટના બની હતી. રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા નજીક આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં એક ગંભીર રીતે બીમાર દર્દી સહિત કુલ સાત લોકો સવાર હતા. ટેકઓફ થયા બાદ લગભગ 20 મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.

આ એર એમ્બ્યુલન્સમાં દર્દી સંજય સાઓ (40), તેમની પત્ની અર્ચના દેવી (35), તેમના 17 વર્ષીય ભત્રીજા ધ્રુવ કુમાર, બે પાઇલટ, એક ડૉક્ટર અને એક પેરામેડિક સવાર હતા. દુર્ઘટનામાં તમામ સાત લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં પાઇલટ વિવેક વિકાસ ભગત અને સવરાજદીપ સિંહ, ડૉ. વિકાસ ગુપ્તા અને પેરામેડિક સચિન કુમાર મિશ્રા સામેલ છે.

સંજય સાઓ લાતેહાર જિલ્લાના બકોરિયા ગામના રહેવાસી હતા અને ત્યાં ઢાબો ચલાવતા હતા. ગયા અઠવાડિયે તેમના ઢાબામાં ભીષણ આગ લાગતા તેઓ લગભગ 65 ટકા સુધી દાઝી ગયા હતા. ત્યારબાદ તેમને રાંચીની દેવકમલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર બનતાં ડૉક્ટરોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી રિફર કરવાની સલાહ આપી હતી.

ઉડાન ભર્યા બાદ માત્ર 20 મિનિટમાં જ વિમાન ક્રેશ

પરિવારજનોએ સંજય સાઓને બચાવવાની આશામાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેઓ રાંચીથી દિલ્હી જવા માટે હોસ્પિટલમાંથી નીકળ્યા હતા.

આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ બકોરિયા ગામમાં શોકની લહેર ફરી વળી હતી. સંજય સાઓના બે પુત્રો શિવમ (13) અને શુભમ (17) હવે પિતાવિહોણા થઈ ગયા છે. સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મૃતક ડૉ. વિકાસ ગુપ્તા અગાઉ ગારુ અને ચંદવા વિસ્તારોમાં સેવાઓ આપી ચૂક્યા હતા અને પ્રભારી પદ પર પણ રહ્યા હતા. તેમની મૃત્યુથી આરોગ્ય વિભાગમાં પણ શોકની લાગણી છે.

રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન (VT-AJV) એર એમ્બ્યુલન્સ તરીકે રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ થયા બાદ અંદાજે 20 મિનિટમાં વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

જિલ્લા વહીવટીતંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે જ, આ દુર્ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.

દિલ્હીમાં ભારત વિરોધી પોસ્ટરો ચોંટાડનાર આરોપીઓને લઈ મોટા ખુલાસા