ચીન સાથેના સીમા વિવાદના પગલે, ભારતની અનેક કંપનીઓએ ચાઈનીઝ કંપની સાથેના કામકાજના કરારો તોડી નાખ્યા છે. ભારતીય રેલ્વેએ પણ તાજેતરમાં જ ચાઈનીઝ કંપનીને આપેલા રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કોન્ટ્રાક્ટ રદ થવાથી રોષે ભરાયેલી ચાઈનીઝ કંપનીએ રેલ્વે વિભાગ સામે દિલ્લી હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને કોન્ટ્રક્ટ રદ કરવાની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે.
ભારતીય રેલ્વેએ, 2016માં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સિગ્નલ અને ટેલિકોમ અંગે રૂ. 470 કરોડનુ કામકાજ ચાઈનીઝ કંપની બેઈજીગ નેશનલ રેલ્વે રિસર્ચ એન્ડ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટને આપ્યું હતું. જો કે આ કામગીરી માટે વિશ્વ બેંક પણ ભારતીય રેલ્વેને કેટલુક ફંડ આપવાની હતી. 470 કરોડના આ કોન્ટ્રાક્ટનું કામકાજ 2019 સુધીમાં પૂર્ણ કરવાનુ હતું. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 20 ટકા જ કામ થયુ હતું. જેના કારણે ભારતીય રેલ્વેએ આ કોન્ટ્રાક્ટ રદ કરીને અન્ય ભારતીય કંપનીને કામ સોપવાનો નિર્ણય કર્યો છે. જો કે ચાઈનીઝ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવા બાબતે ભારતીય રેલ્વેએ, વિશ્વબેંકના ના વાંધા પ્રમાણપત્રની (NOC) રાહ જોઈ નથી. રેલ્વેના એક અધિકારીએ કહ્યું કે જો વિશ્વબેંક પ્રોજેક્ટ માટે બાકીના નાણા નહી આપે તો ભારતીય રેલ્વે પોતાના નાણાથી પ્રોજેક્ટ પૂર્ણ કરશે.
ભારતના લદ્દાખ ક્ષેત્રે સીમા વિવાદ સર્જનાર ચીનને આર્થિક ફટકો મારવા માટે દેશના અનેક ઉદ્યોગો અને વેપારીઓએ ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો છે. તો ભારત સરકારે ચીનની 59 મોબાઈલ એપ્સને પ્રતિબંધીત જાહેર કરી છે.