
આમ આદમી પાર્ટી (AAP) માં બધું બરાબર નથી ચાલી રહ્યું તેવા સંકેતો મળી રહ્યા છે. પક્ષે તેના તેજતર્રાર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ અત્યંત કડક અને આશ્ચર્યજનક કાર્યવાહી કરી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ‘ડેપ્યુટી લીડર’ (ઉપનેતા) ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે પક્ષે રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને જાણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. જે નેતા અત્યાર સુધી એરપોર્ટ પર 10 રૂપિયાની ચા થી લઈને ગીગ વર્કર્સના મુદ્દે ગૃહ ગજવતા હતા, હવે તેમના જ પક્ષે તેમની બોલતી બંધ કરી દીધી છે.
આ ઘટનાથી AAPની અંદરનો કલેહ હવે સપાટી પર આવી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. શું આ રાઘવ ચઢ્ઢાના રાજકીય વનવાસની શરૂઆત છે કે પછી પક્ષની અંદર કોઈ મોટી નવાજૂની થવાના એંધાણ છે? તે જોવું રહ્યું.