પશ્ચિમ બંગાળ પોલીસે (West Bengal Police) પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના (BJP) બે ભૂતપૂર્વ કાર્યકર્તાઓની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રાજ્યમાં હિંસાના કેસમાં 200 થી વધુ બદમાશોની ધરપકડ કરી છે અને 42 FIR નોંધવામાં આવી છે. પશ્ચિમ બંગાળ પોલીસે હિંસક વિરોધ કરનારા અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સોમવારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળના હિંસા પ્રભાવિત જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે. આ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાવડામાં ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જોકે કલમ 144 હટાવવા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) જાવેદ શમીમે સોમવારે રાજ્ય સચિવાલય નબાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સોમવારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય હતી. આ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, દુર્ભાગ્યવશ ગઈકાલે નાદિયામાં હિંસાની ઘટનાઓ બની છે. આ વિસ્તારોમાં હિંસક ઘટનાઓ કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
જાવેદ શમીમે કહ્યું કે તમામ પોલીસ અધિક્ષકોને હિંસક વિરોધ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓએ રેલેવે ટ્રેક બ્લોક કર્યા બાદ સવારે પૂર્વી રેલવેના સિયાલદાહ-હશનાબાદ વિભાગમાં ટ્રેન સેવાઓને અસર થઈ હતી.
તેમણે કહ્યું કે વિરોધીઓએ ટ્રેકને અવરોધવા માટે ટાયરો સળગાવી દીધા હતા અને ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના પૂતળા બાળ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 20 મિનિટ સુધી સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઉત્તર 24 પરગણાના હસનાબાદ સ્ટેશનની આસપાસ પોલીસ દળ તૈનાત છે. નાદિયાના બેથુનદહારી ખાતે રમખાણોમાં કથિત સંડોવણી બદલ ઓછામાં ઓછા 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાવડા, મુર્શિદાબાદ અને નાદિયા જિલ્લામાં પણ પોલીસ બળ તૈનાત જોવા મળ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, રવિવારે તોડફોડની ઘટનામાં અમે 25 લોકોની ધરપકડ કરી છે. ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધ ચાલી રહી છે. સ્થાનિક વેપારીઓએ આ વિસ્તારમાં 72 કલાકના બંધનું એલાન આપ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, બેથુનદહારી રેલવે સ્ટેશન પર સુરક્ષા કડક કરવામાં આવી છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને રવિવારે અહીં એક ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી હતી.
Published On - 4:42 pm, Mon, 13 June 22