
જાહેર પરીક્ષાઓમાં થતા પેપર લીક સામે કેન્દ્ર સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે. લોકસભા બાદ રાજ્યસભાએ પણ જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026 પસાર કરી દીધું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને પેપર લીક માફિયાઓ સામે સરકારના કડક અભિગમનો પુનરોચ્ચાર કર્યો.
વીડિયો સંદેશમાં PM મોદીએ જણાવ્યું કે વર્ષોથી દેશના અનેક રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર માટે પેપર લીક એક ગંભીર પડકાર રહ્યો છે. આવી ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી હવે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
તેમણે જણાવ્યું કે સરકાર વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી ઉભી કરવા માટે સતત વિવિધ પગલાં લઈ રહી છે. તેમાં વિશેષ ટાસ્ક ફોર્સની રચના, ફાસ્ટ-ટ્રેક વ્યવસ્થા અને રાજ્યો તરફથી મળેલા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કાયદાનો મુસદ્દો તૈયાર કરતી વખતે દેશના વિવિધ રાજ્યોના સૂચનોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે પેપર લીકની સમસ્યા સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય રહી છે.
PM મોદીએ ટેક્નોલોજીના વધુ અસરકારક ઉપયોગ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવાની સાથે પેપર લીકમાં સંડોવાયેલા માફિયા અને ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “પેપર લીક ગેંગને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.”
વડાપ્રધાને જણાવ્યું કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કડક કાયદાની જરૂર હતી. આ જ હેતુથી સરકાર સંસદમાં બિલ લઈને આવી હતી. બંને ગૃહોમાં વિસ્તૃત ચર્ચા બાદ બિલ પસાર થયું છે, જેમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે વિશ્વસનીય અને પારદર્શક પરીક્ષા પ્રણાલી તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. સરકાર ભવિષ્યમાં પણ આ દિશામાં સતત કામ કરતી રહેશે અને દેશના યુવાનોના સપનાઓ સાથે કોઈ રમત રમવા દેવામાં આવશે નહીં. તેમણે દેશવાસીઓને વિકસિત ભારતના નિર્માણ માટે એકજૂટ થઈ આગળ વધવા પણ અપીલ કરી.
આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોદી સરકારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026 પસાર કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આ નવો કાયદો જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા જાળવવામાં અને યુવાનોની મહેનત તથા મેરિટ આધારિત વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં અસરકારક સાબિત થશે. સાથે જ, પરીક્ષા પ્રણાલીની અખંડિતતા સાથે ચેડાં કરનારાઓ માટે કડક સજાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે.
રાજ્યસભામાં પણ પેપર લીક વિરોધી બિલ પાસ, હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે